જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: છેલ્લા ૩૦ કલાકમાં સાર્વત્રિક ૭ થી ૧૫ ઇંચ ભારે વરસાદ

જામનગર શહેરમાં ગઈકાલ બપોરથી આજે સાંજ સુધીમાં ૧૨ ઇંચ વરસાદ થતાં સમગ્ર શહેર જળમગ્ન બન્યું કાલાવડ પંથકમાં પણ ધોધમાર ૧૫ ઇંચ વરસાદ:બે દિવસના ભારે વરસાદથી જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થયા

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે બપોર પછીથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક રીતે ૭ થી ૧૫ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી ગયો છે. જેના કારણે સમગ્ર જિલ્લાના ૨૫ જળાશયો પૈકીના ૨૧ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે ૮ ડેમ ના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
જામનગર શહેરમાં ગઈકાલે બપોર થી આજે સાંજ સુધીમાં ૧૨ ઇંચ જેટલો ભારે વરસાદ પડી જતાં સમગ્ર જામનગર શહેર જળમગ્ન બન્યું છે, અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એસ.ડી.આર.એફ.ની ટીમ અને ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા અનેક લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ જામનગર જિલ્લા ને જોડતા ૧૬ થી વધુ મુખ્ય માર્ગો પુર ના કારણે બંધ થયા છે.


જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે જન્માષ્ટમીના તહેવારના દિવસે બપોર પછીથી મેઘસવારી શરૂ થઈ હતી. ભારે પવન અને વીજ ગર્જનાની સાથે મેઘવૃષ્ટિ અવિરત ચાલુ રહી છે, અને આજે પણ હજુ વરસાદ વરસી રહ્યો છે.જામનગર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન બન્યા છે, અને વહીવટી તંત્રની કસોટી થઈ રહી છે. શહેરના ૧૨૦૦ થી વધુ નાગરિકોને સલામત સ્થળે શહેરની જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ખસેડવામાં આવ્યા છે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે, અને તમામ શાળામાં આશ્રિતોને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં વહીવટી તંત્ર દ્વારા તેમજ શહેરના રાજકીય આગેવાનો દ્વારા ફૂટ પેકેટ સહિતની સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની જુદી જુદી ૧૦ ટુકડીઓ તેમજ એસ.ડી.આર.એફ. ની ટીમ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ બોટ લાઈફ જેકેટ વગેરેની મદદથી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, અને ૧૦૦ થી વધુ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, અને સલામત સ્થળે ખસેડાયા છે. જયારે વરસાદના પાણી ભરાવાના પગલે ગઈકાલે રાતે લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, અને જુદા જુદા આશ્રય સ્થાનો માં લોકોને ખસેડી લેવાયા છે.
જામનગર શહેરના અનેક રસ્તાઓ પર ઝાડ પડી ગયા ના બનાવ બન્યા છે, તેમજ પાણી ભરાઈ જવાના કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર થંભી ગયો છે. વરસાદી વાતાવરણને લઈને ગઈકાલ સાંજ થીજ લોકોના વેપાર ધંધા બંધ થયા હતા, અને આજે સવારથી પોતાની દુકાનો વગેરે બંધ રાખતાં સમગ્ર શહેરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે, અને જ્યાં દેખો ત્યાં જળ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું, અને છેલ્લા ૩૦ કલાકના સમયગાળા દરમિયાન ૧૫ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. જેના કારણે અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે. લાલપુરમાં ૧૩ ઇંચ, જામજોધપુરમાં ૯ ઇંચ, અને ધ્રોળ- જોડીયામાં ૭-૭ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ભારે વરસાદ અને પૂરના કારણે જામનગર જિલ્લાના ૨૫ જળાશયો પૈકી ૨૧ જળાશયો ફરીથી ઓવરફલો થઇ રહ્યા છે, જ્યારે બાકીના જળાશયો પૂરા ભરેલા છે. અન્ય આઠ જળાશયોના પાટિયા ખોલીને તેમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને અનેક નીચાણ વાળા વિસ્તારોમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડી લેવા માટેની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભારે વરસાદ ને લઈને લાલપુર પંથકમાં એરફોર્સના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી, અને ૧૧ નાગિરીકોનું હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.
ગઈકાલથી શરૂ થયેલા ભારે વરસાદ અને તોફાની પવન ના કારણે સમગ્ર જિલ્લામાં અનેક સ્થળે ઝાડ પડી ગયા હોવાથી વિજતંત્રને પણ ભારે નુકસાની થઈ છે, અને અનેક વિજ ફીડરો બંધ થયા છે. વિજ તંત્રની ટુકડી ચાલુ વરસાદ પણ ખડેપગે કામ કરી રહી છે, અને શક્ય હોય તેટલા ઝડપથી વિજ ફીડરો પુન: ચાલુ કરવા માટેની કામગીરી ચાલી રહી છે.