જામનગર ની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ ની સારવારમાં મૃત્યુ પામેલા ખંભાળિયાના બાળદર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો

જીજી હોસ્પિટલ તેમજ રાજકોટની હોસ્પિટલમાં દાખલ અન્ય ચાર બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો

જામનગર તા ૨૧, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા ખંભાળિયાના એક બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો, અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જેના નમૂનાઓ લઈને પ્રુથ્થકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે તે બાળકનો પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જોકે બાળકનું મૃત્યુ થયું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા તેના પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત જામનગરની સરકારી જી જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ત્રણ બાળકો તેમજ જામનગર જિલ્લાના જ વતની એવા એક બાળકને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જે ચારેય બાળ દર્દીઓના પણ નમૂના લઈને પૃથકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, અને તે ચારેય બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્યતંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે.