અંતે જિંદગીનો જંગ હારી આરોહી…., 17 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ હાથમાં લાગ્યો માત્ર મૃતદેહ

અમરેલીના સુરગપરા ગામમાં વાડીના બોરમાં પડી ગયેલી દોઢ વર્ષની બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ છે. ગઈકાલે અમરેલી જિલ્લાના સુરગપરા ગામમાં લગભગ 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી બાળકીનું મૃત્યુ થયું છે. લગભગ 17 કલાક ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ આજે સવારે લગભગ 4 વાગ્યે બાળકીને બોરવેલમાંથી કાઢવામાં આવી, પરંતુ તેને બચાવી શકાઈ નથી. 

ગઈકાલે બોરવેલમાં પડી હતી આરોહી

રેસ્ક્યૂ ટીમ તેને લઈને હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ તબીબે બાળકીને મૃત જાહેર કરી. બાળકીને મૃત હાલતમાં જ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. આરોહી નામની દોઢ વર્ષની બાળકી બોરવેલમાં 50 ફૂટ ખાડામાં ફસાઈ ગઈ હતી. બાળકીનું મૃત્યુ થતાં માતા-પિતાની આંખોમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી. તો આખા વિસ્તારમાં શોકનો માહોલ છે. દુર્ઘટના સ્થળે એમ્બ્યુલન્સ 108, ફાયર બ્રિગેડ, NDRFની ટીમો હાજર હતી. બાળકી સુધી ઓક્સિજન પણ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ તેણે દમ તોડી દીધો. 

ઉચ્ચ અધિકારી પહોંચ્યા હતા ઘટના સ્થળે

અમરેલીના સુરગપરા ગામની સીમમાં આવેલી ભનુભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરમાં પડી ગઈ છે, આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં સુરગપરા ગામના લોકો વાડીએ દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ થતાં અમરેલી ફાયર અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સુરગપરા ગામે દોડી આવી હતી. ગાંધીનગરથી NDRFની એક ટીમ સુરગપરા ગામે પહોંચી હતી. આ સાથે સાંસદ, ધારાસભ્ય સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

રોબોટથી બાળકીને બહાર કઢાઈ

તો રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, બોરવેલમાં કેમેરો પણ નાખવામાં આવ્યો હતો. અધિકારીઓે જણાવ્યું કે, બાળકીના મોઢ અને નાકની આસપાસ માટી હતી, જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેના નાક સુધી ઓક્સિજન પણ પહોંચડવામાં આવ્યું હતું, પરંતુ તેના ગળામાં કેબલ ફસાઈ જવાનો ડર હતો. રોબોટ દ્વારા બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે તેનો શ્વાસ બંધ થઈ ચૂક્યો હતો. જોકે, તેને રિકવર કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ તેને બચાવી શકાઈ નહીં.