જામજોધપુર તા. ૧૩, જામજોધપુર માર્કેટ યાર્ડમાં પાણીની લાઈન તૂટી જતા જણસનો કેટલોક જથ્થો પલળી જવા પામ્યો હતો. જે બાબતે અલગ અલગ કારણો રજૂ થતાં વિવાદ જાગ્યો છે.
જામજોધપુર માર્કેટ યાર્ડમાં પાણીની લાઈન તૂટી જતાં પ્લેટ ફોર્મના બદલે રસ્તા વચ્ચે ઉતારેલ સોયાબીન નો જથ્થો પલળી ગયો હતો. ટ્રેક્ટરના વજનના કારણે લાઈન તૂટી હોવાનું યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું, તો પૂર્વ ધારાસભ્યે યાર્ડના વહીવટ સામે સવાલ ઊઠાવ્યા હતાં.

યાર્ડમાં વિવિધ જણસોની આવક થઈ રહી છે, પરંતુ પૂરતા પ્લેટફોર્મના અભાવે જણસીનો જથ્થો આડેધડ ખડકી દેવામાં આવ્યો છે. પાણીની લાઈન તૂટી જતા યાર્ડમાં પાણીની નદી વહેવા લાગી હતી અને તેના કારણે જણસનો જથ્થો પલળી ગયો હતો. આ અંગે જાણ થતાં જ યાર્ડના સેક્રેટરીએ પાણીની મોટર બંધ કરાવી હતી.
બીજી તરફ વેપારીઓ પોતાની પલળી ગયેલ જણસ પાસે એક્ત્ર થયા હતાં. સેક્રેટરી જસ્મિનભાઈના જણાવ્યા મુજબ ટ્રેક્ટરના વજનથી લાઈન તૂટી હતી.
જો કે પૂર્વ ધારાસભ્ય અને યાર્ડના પૂર્વ હોદ્દેદાર ચિરાગ કલરિયાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં સુવિધાનો અભાવ છે, સુવિધા વધારવાની જરૃર છે. છાપરાવાળા પ્લેટ ફોર્મની જરૃર છે. શા માટે ખુલ્લામાં જણસો રાખવાની ફરજ પડે છે? યાર્ડ પાસે જમીન લેવા કરતા ખેડૂતો અને વેપારીઓ તેમજ યાર્ડની સ્થિતિમાં સુધારો કરવાની જરૃર હતી.





















