જામનગર મહાપાલિકા દ્વારા નિર્મિત બે કૃત્રિમ કુંડમાં ત્રણ દિવસમાં 237 ગણપતિની નાની મોટી મૂર્તિનું વિસર્જન કરાયું છે. જામનગર મહાપાલિકા દ્વારા 150 ફૂટ લંબાઈ, 60 ફૂટ ની પહોળાઈ અને આઠ ફૂટની ઊંડાઈ સાથેના સ્લોપવાળા બંને કુંડ બનાવાયા છે. જેમાં પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે અને પાણી ભરીને વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથો સાથ ગણપતિ મંડળના આયોજકો સ્થળ પર પૂજા કરી શકે તે માટેના પૂજા ના ટેબલ સહિતની વ્યવસ્થા ગોઠવાઈ છે.
હાપા રોડ પર આવેલા વિસર્જન કુંડમાં પ્રથમ દિવસે 1, બીજા દિવસે 40, ત્રીજા દિવસે 125 મળી 166 મૂર્તિઓ વિસર્જિત કરાઈ છે. જ્યારે લાલપુર બાયપાસ પાસેના વિસર્જન કુંડમાં પ્રથમ દિવસે એક પણ મૂર્તિ વિસર્જિત કરાઈ ન હતી. બીજા દિવસે 10 અને ત્રીજા દિવસે 51 મળી કુલ 61 નાની મોટી ગણપતિની મૂર્તિઓ વિસર્જિત કરાઇ છે. બંને કુંડમાં માટીમાંથી બનાવેલી અથવા તો પીઓપીની પણ મૂર્તિ જે લોકોએ સ્થાપિત કરી હોય, તેનું પણ વિસર્જન કરી દેવામાં આવી રહ્યું છે, અને કુલ 237 મૂર્તિ વિસર્જિત કરાઈ છે. આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રતિદિન વિસર્જનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.





















