જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સાતમા દિવસે પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સેનાએ અનંતનાગના ગડોલ પહાડી અને જંગલ વિસ્તારમાં આતંકીઓને ઘેરી લીધા છે. ઓપરેશન દરમિયાન સેનાએ શહીદ સૈનિક પ્રદીપ સિંહનો મૃતદેહ કબજે કર્યો હતો. આ સાથે અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે.
પ્રદીપ 13મી સપ્ટેમ્બરથી ગુમ હતો
આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા કોન્સ્ટેબલ પ્રદીપ સિંહ 13 સપ્ટેમ્બરે અનંતનાગ જિલ્લાના ગડોલ વિસ્તારમાં ફાયરિંગ બાદ લાપતા હતા. 18 સપ્ટેમ્બરે સાંજે લગભગ 5 વાગ્યે કોકરનાગ એન્કાઉન્ટર સાઇટ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

27 વર્ષનો પ્રદીપ પંજાબના પટિયાલાનો રહેવાસી હતો અને લગભગ 7 વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા આ એન્કાઉન્ટરમાં કર્નલ મનપ્રીત સિંહ, કમાન્ડિંગ ઓફિસર મેજર આશિષ ઢોંચક અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હુમાયુ મુઝામિલ ભટ્ટ પણ શહીદ થયા હતા.
વધુ એક મૃતદેહ મળી આવ્યો
શહીદ પ્રદીપ સિંહની સાથે સેનાને આ વિસ્તારમાંથી અન્ય એક બળી ગયેલી લાશ પણ મળી આવી હતી. સળગી ગયેલી લાશની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ કારણથી મૃતદેહનું ડીએનએ ટેસ્ટિંગ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓમાંથી કોઈ એકની લાશ હોઈ શકે છે.
બે દાયકામાં સૌથી લાંબુ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરને છેલ્લા બે દાયકામાં ભારતીય સેનાનું સૌથી લાંબુ સૈન્ય ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે સાતમા દિવસે પણ ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ સંભળાઈ રહ્યો છે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન ચાલુ છે.





















