ભારતના આઝાદી દિવસ નજીક આવી રહ્યો છે અને તેના બે દિવસ પહેલા ઈન્ટેલિજન્સ બ્યૂરોએ દિલ્હીમાં આતંકી હુમલાને લઈને એક મોટું એલર્ટ આપ્યું છે. આઈબીએ દિલ્હી પોલીસને આપેલા એલર્ટમાં એવું જણાવાયું છે કે 15 ઓગસ્ટે આતંકીઓ દિલ્હીમાં પતંગ વડે હુમલો કરી શકે છે માટે તમામ પ્રકારની પતંગો પર પ્રતિબંધ મૂકો. આઈબીનું એલર્ટ મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે અને તાબડતોબ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આઈબીના એલર્ટ બાદ અગમચેતીના પગલાંરુપે લાલ કિલ્લાની આજુબાજુ પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હાલમાં જ પંજાબ અને અલગ અલગ રાજ્યોમાં ધરપકડ કરાયેલા આતંકીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, આતંકવાદી સંગઠનોએ ડ્રોન મારફતે ભારતમાં ઘણું બધું આઇઇડી મોકલ્યું છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ ડ્રોન દ્વારા એકે-47 સહિત હથિયારોને પાકિસ્તાનના રસ્તે ભારતમાં કેટલીક જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ દ્વારા લોન વુલ્ફ એટેકના ઈનપુટ પણ દિલ્હી પોલીસને આપવામાં આવ્યા છે. આઇબીના જણાવ્યા અનુસાર ભીડમાં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ પ્રકારનો હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં, સ્ક્રિનિંગ અને ચેકિંગ ખૂબ જ ચુસ્ત રહેવાનું કહેવામાં આવ્યું છે.