દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે સાંજ સુધીમાં તેના પરિણામો પણ જાહેર થઈ જશે. આ વખતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA તરફથી ઉમેદવાર પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખર છે, જ્યારે કોંગ્રેસ તરફથી નેતા મારગ્રેટ અલ્વા છે. તમને જણાવી દઈએ કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.

ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે અને જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય છે તો ઉપરાષ્ટ્રપતિ તેની જવાબદારી સંભાળે છે. બંધારણ મુજબ સર્વોચ્ચ પદની વાત કરીએ તો, રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિનું પદ આવે છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી. ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો વોટ કરે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 788 વોટ પડી શકે છે. જેમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 243 સભ્યો મતદાન કરે છે. રાજ્યસભાના સભ્યોમાં 12 નામાંકિત સાંસદો પણ છે. ઉપપ્રમુખની ચૂંટણી લડવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. તેની ઉંમર 35 થી વધુ હોવી જોઈએ. રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે તે તમામ લાયકાત ધરાવતો હોવા જોઇએ .

ચૂંટણી લડવા માટે ઉમેદવારે 15,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝીટ તરીકે જમા કરાવવાના રહે છે. જો ચૂંટણી હારી જાય અથવા 1/6 મત ન મળે તો આ રકમ ચૂંટણી પંચમાં જમા થાય છે. મતદાન દરમિયાન સાંસદે માત્ર એક જ મત આપવાનો હોય છે, પરંતુ તેણે પોતાની પસંદગીના આધારે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવે છે. મતદારે પ્રાથમિક પસંદગીને 1, બીજી પસંદગીને 2 એમ એવી રીતે પ્રાથમિકતા આપવાની રહેશે. ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિ પદ્ધતિ હેઠળ યોજાય છે. મતદાન વિશેષ રીતે કરવામાં આવે છે. ચૂંટણીને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહેવામાં આવે છે.

જે સભ્યોના મત પડે છે તેની સંખ્યામાં 2 વડે ભાગ્યા પછી તેમાં એક ઉમેરવામાં આવે છે.ઉદાહરણ તરીકે, જો કુલ 787 સભ્યોએ ચૂંટણીમાં પોતાનો મત આપ્યો, તો તેને 2 વડે ભાગીએ તો તફાવત 393.50 થાય છે. આમાં, આપણે 0.50 કાઢી નાખીશું કારણ કે દશાંશ પછીની સંખ્યા ગણાતી નથી. તેથી આ સંખ્યા 393 થઈ ગઈ. હવે તેમાં 1 ઉમેરીએ તો સંખ્યા 394 થઈ જાય છે, તેથી ચૂંટણી જીતવા માટે 394 મત મેળવવા જરૂરી છે.