અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ડ્રોન હુમલામાં અલ-કાયદાના નેતા અલ-જવાહિરીને મારી નાખ્યો છે. ગુપ્ત બાતમી મળ્યા બાદ રવિવારે બપોરે જવાહિરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. 2011માં સ્થાપક ઓસામા બિન લાદેનની હત્યા બાદ જવાહિરીએ અલ-કાયદાની કમાન સંભાળી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો અનુસાર, આ ડ્રોન હુમલો અમેરિકી ગુપ્તચર એજન્સી CIAની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારથી જવાહિરી કાબુલમાં રહેતો હતો. જ્યારે તાલિબાન અમેરિકન કાર્યવાહી પર રોષે ભરાયું છે અને તેને દોહા સમજૂતીનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

11 સપ્ટેમ્બર, 2001ના રોજ, 19 આતંકવાદીએ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ચાર કોમર્શિયલ પ્લેનને હાઇજેક કરીને અથડાવ્યા હતા. અમેરિકામાં એને 9/11 હુમલા તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં 93 દેશના 2 હજાર 977 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓસામા બિન લાદેન, અલ-જવાહિરી સહિત અલ-કાયદાના તમામ આતંકવાદીઓને અમેરિકી તપાસ એજન્સીએ આરોપી બનાવ્યા હતા. અલ-જવાહિરીની હત્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું- અમે જવાહિરીને શોધીને મારી નાખ્યો છે. અમેરિકા અને તેના લોકો માટે ખતરો ઊભો કરનારી કોઈપણ વ્યક્તિને અમે છોડીશું નહીં. અમે અફઘાનિસ્તાનમાં આતંકીઓ પર હુમલા ચાલુ રાખીશું.

જવાહિરીને મારવા માટે અમેરિકાએ પહેલાં પણ ઘણીવાર પ્રયાસ કર્યો હતો. 2001માં જવાહિરી અફઘાનિસ્તાનના તોરા બોરામાં છુપાયો હોવાની જાણ થઈ હતી. જોકે હુમલો થાય એ પહેલાં જ જવાહિરી ભાગી ગયો હતો. જોકે આ હુમલામાં તેની પત્ની અને બાળકોનાં મોત થયાં હતાં. એ જ સમયે 2006માં અમેરિકી ગુપ્તચર એજન્સીએ ફરીથી જવાહિરીને મારવા માટે જાળ બિછાવી હતી. એ સમયે તે પાકિસ્તાનના ડમડોલામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જોકે મિસાઈલ હુમલો થાય એ પહેલાં જ જવાહિરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અલ-જવાહિરીએ આ વર્ષે એપ્રિલમાં 9 મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં તેણે ફ્રાન્સ, ઈજિપ્ત અને હોલેન્ડને ઈસ્લામિકવિરોધી દેશ ગણાવ્યા છે. વીડિયોમાં જવાહિરીએ ભારતમાં હિજાબ વિવાદ અંગે પણ વાહિયાત નિવેદન આપ્યું હતું.