નોટબંધી સમયના વ્યવહારોને લઇને જ્વેલર્સોને IT વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે IT વિભાગની તરફેણમાં ચુકાદો આપતા કાર્યવાહી હાથ ધરાઇ છે. ગુજરાતના 42 હજાર જ્વેલર્સ-વેપારીઓને IT વિભાગ દ્વારા નોટિસ ફટકારાઇ છે.

નોંધનીય છે કે, અગાઉ નોટિસને લઇને કરદાતાઓ હાઇકોર્ટ ગયા હતા. હાઇકોર્ટે કરદાતાઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાલમાં અમદાવાદના પણ 4500 જ્વેલર્સ-વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આશિષ અગ્રવાલ સહિતના કરદાતાની સામે IT વિભાગે અપીલ કરી હતી. નોટિસનો જવાબ ન આપનારને 60% ટેક્સ અને 60% પેનલ્ટી લાગશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તાજેતરમાં જ ચિરીપાલ ગ્રુપના અનેક સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગે તવાઇ બોલાવી હતી. જેમાં ઇન્કમટેક્સ વિભાગને દરોડામાં કુલ 25 કરોડ રોકડ રકમ ઝડપી હતી. IT વિભાગે રૂપિયા 10 કરોડની જ્વેલરી અને 1.50 લાખ ડૉલર હાથ લાગ્યા હતા.

IT વિભાગને 25 લોકર અને જમીનમાં રોકાણના દસ્તાવેજ પણ હાથ લાગ્યા હતા. જણાવી દઇએ કે, ચિરીપાલ ગ્રુપના ડિજિટલ દસ્તાવેજોની પણ એફએસએલ (FSL) ના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જમીનોમાં કરેલા રોકાણના દસ્તાવેજોની ફાઇલો પણ ખૂબ મોટી સંખ્યામાં મળી આવી હતી.