ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ થોડોક ધીમો પડ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે રાજ્યના કેટલાંક જિલ્લામાં વરસાદ વરસશે. આજે રાજ્યમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં વરસાદ મન મૂકીને ખાબકશે.’

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ વાગરામાં 2.25 ઈંચ વરસાદ, કવાંટમાં 2.25 ઈંચ, ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ, પ્રાંતિજમાં 2 ઈંચ, ખંભાતમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ, તારાપુરમાં 1.75 ઈંચ, કલોલમાં 1.5 ઈંચ, અમરેલીમાં 1.5 ઈંચ, હિંમતનગરમાં 1.5 ઈંચ, અમીરગઢમાં 1.5 ઈંચ વરસાદ, ભિલોડામાં 1.5 ઈંચ, ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ, દિયોદરમાં 1.5 ઈંચ અને માણસામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો.

મહત્વનું છે કે, બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાયા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ પાણીમાં અટવાયા. બીજી બાજુ સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તો પ્રાંતિજ અને હિંમતનગરમાં બે ઇંચ વરસાદ વરસ્યો. અન્ય તમામ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે
ઈડરની ઘઉવાવ તેમજ ભેંસકા નદી બે કાંઠે થઇ ગઇ છે. ગુહાઈ જળાશય યોજનામાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. વરસાદના પગલે બે વર્ષથી ખાલી રહેલા જળાશયો પણ ભરાઇ જશે. જેના કારણે જળાશયોમાં પાણીની આવકથી ખેડૂતોને પણ મોટો ફાયદો થશે.