ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ છે. તેને લઈ કેન્દ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી ગયો છે. ત્યારે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાવ આવશે તેવી માહિતી મળી છે. વડાપ્રધાન મોદી ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત આવવાના છે. વડાપ્રધાન અને એસપીજી માટે ગાંધીનગરનું સર્કિટ હાઉસ પણ બુક કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ મોદી આગામી 15, 16 અને 17 એમ કુલ 3 દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. આ દરમ્યાન તેઓ ગાંધીનગર, કચ્છ અને સાબરકાંઠાની મુલાકાત લેશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. પીએમ તેમજ એસપીજી સ્ટાફ માટે ગાંધીનગરનું સર્કિટ હાઉસ 3 દિવસ માટે બુક કરવામાં આવ્યું છે. જ્યારે કે પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે.વડાપ્રધાન મોદી ગતરોજ ગુજરાતના પ્રવાસે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિજિટલ ઇન્ડિયા વીક-2022નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઇન્ડિયાસ્ટેક, માય સ્કીમ, ચિપ ટુ સ્ટાર્ટ અપ સહિતના 7 વિવિધ પહેલનું ઉદઘાટન કર્યુ હતું. આ શુભારંભથી અત્યાધુનિક ડિજિટલ સેવા સમગ્ર દેશના નાગરિકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. વડાપ્રધાન મોદીએ ‘MYSCHEME’ નાગરિકોને સમર્પિત કર્યું. 9 જુલાઈ સુધી ડિજિટલ ઇન્ડિયા વીકનું કાર્યક્રમ ચાલશે.