ટીઆરએસ અને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકારણમાં ગરમી ભરેલું વાતાવરણ જોવા મળે છે અને આ તમામની વચ્ચે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે હૈદરાબાદ પહોંચશે. ઉપરાંત બીજી બાજૂ વિપક્ષી રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિન્હા પણ હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પહોંચશે. જાણવા મળ્યું છે કે મોદીના સ્વાગત માટે રાજ્યમાંથી ફક્ત એક મંત્રી જશે અને વળી સિન્હાને લઈને સીએમ કેસીઆર સહિત આખુ મંત્રીમંડળ સ્વાગત કરવા જશે. પીએમ મોદીના પહોંચ્યા બાદ થોડી કલાક બાદ સિન્હા પણ બેગમપેટ એરપોર્ટ પર પહોંચશે. અને ત્યાં રાજ્ય સરકાર તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ખુદ સીએમ કેસીઆર અને તેમનું તમામ મંત્રીગણ હાજર રહેશે. અને આ બાજૂ પીએમ મોદીના સ્વાગત માટે રાજ્ય સરકારમાંથી ફક્ત એક મંત્રીને મોકલ્યા છે.
જોઈએ તો મોટા ભાગે પ્રધાનમંત્રી જ્યારે કોઈ રાજ્યની મુલાકાતે જાય છે, તો રાજ્યપાલ સહિત સીએમ તથા રાજ્યના મંત્રીઓ પણ એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કરશે. કેસીઆર આની પહેલા પણ પીએમ મોદીની મુલાકાતથી દૂર રહેલા છે. આ બનાવ છ મહિનામાં ત્રીજી વાર બન્યો છે, જેમાં સીએમ કેસીઆર પીએમ મોદીની યાત્રા દરમિયાન પ્રોટોકોલનું પાલન નહીં કરે. આ અગાઉ પીએમ મોદી ઈંડિયન સ્કૂલ ઓફ બિઝનેસની 20મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે તેલંગણા ગયા હતા, ત્યારે પણ કેસીઆર બેંગલુરુ જતાં રહ્યા હતા. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ પીએમ મોદી હૈદરાબાદની મુલાકાતે ગયા હતા, ત્યારે પણ કેસીઆર તેમના સ્વાગત માટે પહોંચ્યા નહોતા.