તેલ હવે રસોડામાં બળશે અને તેના ભાવ લોકોને બાળશે / ઈન્ડોનેશિયાએ ખાદ્યતેલોની નિકાસ બંધ કરી , ભારતને થશે ભારે અસર

મોંઘવારી સહન કરતા ભારતીયોને વધુ મોંઘવારી સહન કરવા તૈયાર રહેવું પડશે. કેમકે પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત….. આનું કારણ છે ઈન્ડોનેશિયાના ઘરેલું બજારમાં વધતી કિંમતોને કાબૂ લેવા ઈન્ડોનેશિયા 28 એપ્રિલથી એટલે કે આજથી ખાદ્યતેલોની નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડોનેશિયાના આ નિર્ણયની ભારત પર ભારે અસર થશે. કારણ કે ભારત ખાદ્યતેલોનો સૌથી મોટો આયાતકાર છે. અને પોતાની જરૂરિયાતના 70 ટકા ખાદ્યતેલ ઈન્ડોનેશિયાથી આયાત કરે છે. પામતેલ મોંઘું થવાથી ખાદ્યતેલ મોંઘા થશે. આ ઉપરાંત શૅમ્પૂ, સાબુ. બિસ્કિટ, ચોકલેટ અને કેક પણ મોંઘા થશે. પામતેલ સમગ્ર દુનિયામાં સૌથી લોકપ્રિય વનસ્પતિ તેલ છે. દુનિયામાં આશરે 50 ટકા ઘરેલું ઉત્પાદનોમાં આનો ઉપયોગ થાય છે. પામતેલનો સૌથી વધુ ઉપયોગ ખાવાના ઉપયોગમાં થાય છે. ઉપરાંત શૅમ્પૂ, ન્હાવાનો સાબુ, વિટામિનની ગોળીઓ, કેક, સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગ થાય છે. ઈન્ડોનેશિયા સમગ્ર દુનિયામાં પામતેલનું સૌથી મોટું ઉત્પાદક કેન્દ્ર છે. આ મામલે બીજા નંબરે મેલેશિયા છે. ભારતે ગત વર્ષે મલેશિયામાંથી 83 લાખ ટન પામતેલ આયાત કર્યું હતું. આગામી દિવસોમાં દેશમાં ખાદ્યતેલોના ભાવ વધવાની શક્યતા છે.