એક તરફ મુખ્યમંત્રીએ કાયદો પરત લેવાની ખાતરી આપી , બીજી તરફ રખડતા પશુના કારણે જામનગરના વધુ એક નિર્દોષ વ્યક્તિના જીવ ગુમાવ્યાનો કિસ્સો આવ્યો સામે

જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં છે ત્યારે શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે. પરંતુ મહાપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી અને લોકોના જીવોની પડી નથી તેમ વધુ એક વૃદ્ધનો ભોગ ઢોરે લીધો છે જેમાં પોતાની પત્ની સાથે જઈ રહેલા વૃદ્ધને ખુંટિયાએ હડફેટે લેતા બંને દંપતિ ઘવાયા હતા જેમાં વૃદ્ધનું લાંબા સારવાર બાદ મૃત્યુ થયું છે. જ્યારે વૃદ્ધા હજુ પણ ઢોરના હુમલામાં પથારીવશ થઈને પડ્યા છે. આ ઘટનાથી ઢોરની સમસ્યાનો વિકરાળ અને બિહામણો ચહેરો લોકો સમક્ષ આવ્યો છે.

જામનગર શહેરના રાજમાર્ગો પર ઢોરનું રાજ અકબંધ છે. મહાપાલિકાને જાણે લોકોના જીવની કોઈ ફિકર ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી…બીજી તરફ સામાન્ય લોકોને ઢોરના ત્રાસના કારણે લોકોને ઘરની બહાર નીકળવું એટલે જાણે એલઓસી બોર્ડર ક્રોસ કરવાં જેટલું મુશ્કેલ બન્યું છે…..

આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના ઓશવાળ-2માં રહેતા દામજીભાઈ બુસા (ઉ.વ.75) નામના વૃદ્ધ પોતાની પત્ની સાથે ગત તા.9-3ના રોજ એક્ટિવા મોટરસાયકલ જીજે-10-સીએ 5848 પર જઈ રહ્યા હતા ત્યારે વિશ્રામ હોટલ પાસે અચાનક ખુંટિયો ગાડીની વચ્ચે આવીને પડ્યો હતો જેમાં વૃદ્ધને માથામાં અસંખ્ય ફ્રેક્ચર થઈ ગયા હતા અને વૃદ્ધાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.વૃદ્ધને સારવાર માટે જામનગર અને બાદમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા પરંતુ કોમામાં રહેલા વૃદ્ધ ભાનમાં આવ્યા ન હતા અને બાદમાં તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ આ ઘટનામાં વૃદ્ધનો જીવ ગયો અને તેમની પત્ની પથારીવશ બન્યા છે ત્યારે મહાનગરપાલિકાનું ઢોર પ્રત્યેનું વલણ લોકો માટે ધીરે ધીરે જીવલેણ બનતું જાય છે જે ખૂબજ ખતરનાક છે.

શું કહે છે અધિકારી  ??

આ અંગે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યૂટી કમિશ્નરે ઢોર નિયંત્રણ કરવાં માટે મહાનગરપાલિકાની કામગીરીની લાંબી યાદી દર્શાવવામાં આવી હતી..જેમાં ટૂંકમાં કહેવામાં આવે તો ચોપડે સબ સલામત હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો અને તંત્ર આ બાબતને લઈને ખૂબ જ ગંભીર હોવાનું ડેપ્યૂટી કમિશ્નરે જણાવ્યું હતું…

શું કહે છે સાશક? 

સાશક કહે છે કે મનપા આ મુદ્દાને લઈને ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે. બે અલગ અલગ ટીમો બનાવી અને કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું..રખડતા પશુઓને પકડી અને અહીંયાથી દર વર્ષે અંદાજીત 1000 ઢોર પાંજરાપોળ અમદાવાદ ખાતે મોકલવામાં આવતા હોવાનું જણાવ્યું…

 શું કહે છે પરિવારજનો?

મારા પિતા અને માતા મોટરસાયકલ પર જતા હતા. તેઓ ઉંમરલાયક હોય એટલે માંડ 20-30ની સ્પીડ પર ગાડી સાઈડમાં ચલાવતા હતા. ખુંટિયો અચાનક દોડતો તેમના પર પડ્યો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા એક મહિના જેવો સમય કોમામાં રહ્યા હતા અને વેન્ટિલેટર પર પણ રહ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. માતા પણ પથારીવશ છે. આ ઢોરોના કારણે અમારા પરિવારને ઘણું સહન કરવાનું આવ્યું છે તેમ મૃત્તકના પુત્ર નિલેશભાઈ બુસાએ જણાવ્યું છે.એક તરફ ગુજરાત સરકારે વિધાનસભામાં તાજેતરમાં જ રખડતા ઢોરની સમસ્યા સંદર્ભે પસાર કરેલાં કથિત કડક કાયદાના વિરોધમાં માલધારીઓ આંદોલન ચલાવી રહ્યાં છે અને તેમાં વિરોધપક્ષ ઉપરાંત ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ આગામી ચૂંટણી સંદર્ભે વોટબેંકની રાજનીતિ કરી રહ્યાં છે ત્યારે સામાન્ય પ્રજાને થતી જાનમાલની નુકસાનીની કોઇને ફીકર ન હોય તેમ સમસ્યાના ગંભીર સ્વરૂપ ઉપરથી લાગે છે, બધા પોતાના સ્વાર્થની પિપૂડી વગાડે છે પરંતુ નિર્દોશ લોકોને થતી શારીરિક ઇજા કે પરિવારને પડતી પોતાની વ્યક્તિની ખોટ અંગે કોઇ ગંભીર હોય તેમ લાગતું નથી. કોઈપણ સમાજની માંગ પુરી કરવી જોઈએ તે અંગે કોઈનો વિરોધ નથી અને તેના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ પરંતુ લોકોના જીવની સુરક્ષા માટે આ કાયદો ખૂબ જ જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે..

 શું કહે છે વિપક્ષ??

જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ રખડતા ઢોર મુદે સરકાર પર  ગંભીર આક્ષેપ કર્યા હતા..અવાર નવાર રજૂઆતો કરવા છતા પણ મનપા દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં…એક નહીં પરંતુ અનેક લોકોએ આ બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે. જામનગર મનપા દ્વારા ઢોરને જાહેર માર્ગો પરથી હાંકી કાઢવા જાહેર રસ્તાઓ પર કર્મચારીઓ નિમવામાં આવ્યા છે…પરંતુ તે કર્મચારીઓ માત્ર ભાજપ કાર્યાલયની બહાર રાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે…

શાસક પક્ષ શું કહે છે કે પછી વિપક્ષ શું કહે છે ,પરંતુ રખડતા ઢોરના ત્રાંસના કારણે જામનગરવાસીઓ ખૂબ જ પરેશાન છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘવાયા છે તે હકીકત છે …..લોકોને રોડ પર બાઇક લઈને નિકડ્વું ખૂબ જ મુશ્કેલ બન્યું છે ….