સરકાર મસ્જિદોમાં લાગેલા લાઉડ સ્પીકર બંધ કરાવે, નહીંતર ઉંચા અવાજે વાગશે હનુમાન ચાલીસા- રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્ય સરકાર સમક્ષ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર દૂર કરવાની માગણી કરી છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે એક રેલીમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતી વખતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘મસ્જિદોમાં લાઉડ સ્પીકર આટલા ઉંચા અવાજે શા માટે વગાડાય છે? જો તેને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર વધુ ઉંચા અવાજે હનુમાન ચાલીસાના સ્પીકર વાગવા લાગશે.’ વધુમાં કહ્યું હતું કે, ‘હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરૂદ્ધમાં નથી. મને મારા ધર્મ પર ગર્વ છે.’

રાજ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે જાતિ આધારીત નફરત ફેલાવવાનો આરોપ લગાવીને કહ્યું હતું કે, ‘આજે લોકો રાજ્યમાં જાતિના મુદ્દે લડી રહ્યા છે. આપણે ક્યારે આમાંથી બહાર નીકળીને હિંદુ બનીશું?’

રાજ ઠાકરેએ મુંબઈમાં ધારાસભ્યોને ઘર આપવાની રાજ્ય સરકારની જાહેરાતની પણ ટીકા કરી હતી.