સમગ્ર વિશ્વમાંથી કોરોના ચાલ્યો ગયો એવા વહેમમાં ના રહેતા કારણ કે, કોરોના વાયરસ એટલો ખતરનાક છે તે હજુ પણ પીછો છોડવા તૈયાર નથી. એવામાં હવે ઇઝરાયલના એક વૈજ્ઞાનિકે તબીબી સમુદાય અને મહામારી નિરીક્ષકોમાં ગભરાટ ઊભો કર્યો છે. ઈઝરાયેલના વૈજ્ઞાનિક ડૉ. શાય ફ્લીશોન (Shay Fleishon) એ એવો દાવો કર્યો છે કે, ભારતના 10 રાજ્યોમાં કોરોના વાયરસનો સબ-વેરિઅન્ટ BA.2.75 મળી આવ્યો છે. જો કે, આ અંગે ICMRના ટોચના વૈજ્ઞાનિક ડૉ. સમીરન પાંડાએ કહ્યું કે, ‘તેને લઇને ચિંતિત થવાની જરૂરિયાત નથી.’

Shay Fleishon પણ આ કોરોનાના કેસો વિશે વિગતવાર સમજાવતા કહ્યું કે, ડૉક્ટર શાયના જણાવ્યા અનુસાર, 2 જુલાઈ સુધી ભારતમાં કોરોનાના નવા સબટાઇપના 69 કેસ જોવા મળ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 27, પશ્ચિમ બંગાળમાં 13, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં એક-એક, હરિયાણામાં છ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, કર્ણાટકમાં 10, મધ્યપ્રદેશમાં પાંચ, તેલંગાણામાં બે કેસ મળી આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, ઇઝરાયેલમાં શેબા મેડિકલ સેન્ટરની સેન્ટર વાઈરોલોજી લેબમાં ડૉક્ટર Shay Fleishon કામ કરે છે. તેઓએ લખ્યું છે કે, 2 જુલાઈ સુધી BA.2.75ની 85 સિક્વન્સ અપલોડ કરવામાં આવી છે. એમાંના મોટા ભાગના ભારતના જ (10 રાજ્યો) છે. બાકીના સાત રાજ્યો અન્ય દેશોના છે. હાલમાં, ટ્રાન્સમિશનની માહિતી હજુ સુધી જાહેર કરવામાં નથી આવી.

જીનોમ સિક્વન્સિંગ ડેટાને ટ્રૅક કરતી સાઇટ Nextstrain અનુસાર, ભારત સિવાય એવાં વધુ સાત દેશો છે કે જ્યાં નવો કોરોના વેરિઅન્ટ જોવા મળ્યો છે. Shay Fleishonએ BA.2.75 ને બીજી પેઢીના વેરિઅન્ટ તરીકે વર્ણવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, આવું પ્રથમ વખત છે કે જ્યારે બીજી પેઢીના વેરિઅન્ટ્સ તે દેશોમાંથી નીકળીને અન્ય દેશોમાં સ્થળાંતરિત થયા છે કે જ્યાં તેઓ જોવા મળ્યા હતા. Shay Fleishonએ આગળ ટ્વિટ કરીને લખ્યું કે, શું BA.2.75 આવનારા સમયમાં વિશ્વભરમાં ફેલાઇ જશે કે કેમ તે એટલી જલ્દી જાહેર ના કરી શકાય. પરંતુ BA.2.75 ચોક્કસપણે ચિંતાનું કારણ છે.

આ અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ટોચના વૈજ્ઞાનિક ડૉ. સમીરન પાંડાએ એક ખાનગી ન્યુઝ ચેનલને જણાવ્યું કે, ‘એક તરફ વિદેશી વૈજ્ઞાનિકો આને લઈને ચિંતિત છે. ત્યારે ભારતીય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે પેનિક બટન દબાવવું એ ઉતાવળ હશે. નવા વેરિઅન્ટનું મળવું એ કંઇ અસામાન્ય નથી. જેમ-જેમ વાયરસ ધીમો પડી જશે તેમ-તેમ તેના વેરિઅન્ટ સામે આવતા રહેશે.’ સમીરન પાંડાના મતે, ‘મ્યુટેશન થવાનું જ છે, તેને લઇને ચિંતિત થવાની જરૂરિયાત નથી.’