Site icon Meraweb

એક સમયના ગરીબ પરીવારનો યુવાન સંઘર્ષ કરીને લોકસેવા માટે ધારાસભ્ય પદના ઉમેદવાર સુધીની સફર ….વાંચો…

મનોજ કથીરિયા… જામનગરવાસીઓ માટે આ નવું નામ છે… નવો ચહેરો છે… એ વાત સો ટકા સાચી છે, પરંતુ આ યુવાન અથાગ સંઘર્ષ, પ્રરણાદાયી પરિશ્રમ અને પરસેવો પાડીને સફળતાની મંઝીલે પહોંચ્યો છે, જીવનની વાસ્તવિકતાનો કેવો જબરદસ્ત સામનો કર્યો અને એક સંકલ્પ સાથે મહેનત થકી પોતાની જિંદગી બનાવી, એમની આ જીવનગાથા યુવાનો માટે પ્રેરણાદાયી છે અને જામનગર શહેરના મતદારોને સો ટકા વિચાર કરતાં કરી દેશે કે આવા યુવાનને લોકપ્રતિનિધિ તરીકે તક આપવી જ જોઈએ.

ખીજડિયાના નાના એવા તડના ગામમાં જન્મેલા મનોજભાઈ કથીરિયાનું બાળપણ ખૂબ જ પડકારો વચ્ચે વિત્યું કારણ કે, પિતા વ્યવસાયે મજૂર હતાં! ન્યુ સ્કૂલ તથા મેઘજી પેથરાજ શાળામાં અભ્યાસ કર્યો, પરંતુ પિતાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી હાયર ઍજ્યુકેશન મેળવી શક્યા નહીં.૧૮ વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ જ ગરીબીના પડકાર સામે મેદાને પડ્યાં અને આર્થિક સ્થિતિ નબળી હોવાથી કામમાં લાગી ગયાં, ત્રણ ભાઈ અને માતા-પિતાનું લાલન-પાલન મુશ્કેલ હતું કારણ કે પિતા મજૂરી કરતાં હતાં.૧૯ વર્ષની ઉંમરે ભાગ્યને ચમકાવવા માટે સૌપ્રથમ હીરા ઘસવા માટે સુરત ગયાં, ચાર વર્ષ સુધી ત્યાં રોકાઈને ખાવા-પીવાની રહેવાની અનેક મુશ્કેલીઓ વચ્ચે હીરાઘસુ તરીકે કામ કર્યું.

એક દીકરો ઘરથી દૂર રહેતો હોવાથી પરિવારજનોએ કહ્યું કે, ભલે અડધું પેટ ખાઈશું પણ સાથે રહીશું… દીકરા, પાછો આવી જા… એટલે સુરતથી પરત આવીને સૌપ્રથમ જામનગરમાં એક બિલ્ડરને ત્યાં પટ્ટાવાળા અર્થાત પિયુન તરીકે નોકરી શરૂ કરી, ચાર વર્ષ સુધી પટ્ટાવાળા તરીકે નોકરી કરી.આવકને વધારવા માટે પિયુનની નોકરી છોડીને રાજ રાજેશ્ર્વરી સોસાયટીમાં કરિયાણાની દુકાન શરૂ‚ કરી જેથી ગમે તેમ કરીને પરિવારને પગભર કરી શકાય. નસીબે અહીં પણ યારી આપી નહીં, કરિયાણાનો આ વ્યવસાય ચાલ્યો નહીં.હિંમત હાર્યા નહીં… નસીબ અજમાવવા માટે સત્યમ ચોકડી પાસે મસાલા ઢોસા બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો… ખૂબ મહેનત કરી પરંતુ આ ધંધો પણ ચાલ્યો નહીં, ફરી ઉદ્યોગ તરફ વળ્યા અને પોતે મજૂરીકામ કરવા લાગ્યા.એક તરફ મજૂરીકામ કરતાં હતાં બીજી તરફ મગજમાં પરિવારને ગરીબીની દલદલમાંથી બહાર કાઢવાનો લોખંડી સંકલ્પ લઈને સતત વિચારતા હતાં કે, કેવી રીતે માતા-પિતા અને ભાઈઓ, પત્ની અને સંતાનોને સુખમયી જિંદગી આપી શકાય? મહેનત ઉપર ભરોસો હતો, પરિશ્રમની તૈયારી હતી એવામાં માર્કેટીંગ કરવાનો વિચાર મગજમાં આવ્યો.શરૂ‚ કર્યું, ભગવાનના ભરોસે આગળ વધ્યા, માર્કેટીંગ કરતાં કરતાં થોડા ઘણાં પૈસા એકઠાં થયાં એટલે ‘ઓમ એન્ટપ્રાઈઝ’ નામે નાનકડું કારખાનું શરૂ‚ કર્યું અને બ્રાસપાર્ટ્સના વ્યવસાયમાં આ એમની શરૂઆત હતી.નાના સ્તરેથી કામ શરૂ કર્યું…

કોઠાસૂઝ, આકરા પરિશ્રમ, રાત ઉજાગરા અને એક ચોકકસ લક્ષ્યને મગજમાં રાખીને અથાગ મહેનત કરી, ધીમે-ધીમે વ્યવસાય વધતો ગયો, ભગવાનના આશીર્વાદ એમના ઉપર વરસ્યા અને આખરે નાનકડા કારખાનાને તેઓ ‘ઓમ રૂદ્ર મેટાટેક પ્રા.લિ.’ના મોટા ઉદ્યોગગૃહ સુધી પહોંચાડી શકવામાં સફળ થયાં. હાલમાં તેઓ આ ઉદ્યોગગૃહના એમડી છે.ધીમી આંખો સાથે તેઓ એવું પણ કહે છે કે, એક સમય એવો હતો જ્યારે હું પોતે પૈસા કમાવા માટે મજૂરીકામ કરતો હતો, નોકરીઓ શોધતો હતો અને આજે ભગવાનની દયાથી એવો દિવસ આવ્યો છે કે, મારા ઉદ્યોગ ગૃહમાં ર૦૦ લોકોથી વધુ શ્રમજીવીઓ રોજીરોટી મેળવી રહ્યાં છે.જીવનનો સંઘર્ષ ચાલતો હતો એ દરમિયાન પરિવારજનોએ સાંસારિક જીવન શ‚ કરવાનો ફેંસલો કર્યો હતો, ર૦૦૪માં મનોજભાઈ લગ્નના બંધને બંધાયા હતાં, દાંપત્ય જીવનમાં એમને કુદરતે બે સંતાનોની ભેટ આપી છે.ર૦ર૦માં એક એવી ઘટના બની અને એક ઉદ્યોગ ગૃહના માલિક તરીકે એમને એવો કડવો અનુભવ થયો જેનાથી એમને થયું કે, જો એમના જેવા ઉદ્યોગપતિ સાથે પણ આવું થયું તો પછી નાના લોકો સાથે શું થતું હશે?! એમની સાથે શું ઘટના બની હતી? તે આ અહેવાલ સાથે અલગથી આપવામાં આવી છે.

બસ… ત્યારબાદ જ સંકલ્પ કર્યો હતો કે, સિસ્ટમને સુધારવા અને તંત્રને દોડતું કરવા રાજકારણમાં જવું છે, ધીમે-ધીમે પા-પાપા પગલી કરી, લોકસેવાના કાર્યો પહેલેથી કરતાં હતાં, એમના પિતા પણ મજૂર હોવા છતાં એક નખશિખ કોંગ્રેસી હતાં, કોંગ્રેસ પક્ષને હંમેશા તેઓ બને એટલી મદદ કરતાં હતાં.બાળપણથી લઈને અત્યાર સુધી એમણે જીવનના અનેક ઊતાર-ચઢાવ જોયાં છે, ગરીબીની કાળી રાતમાંથી પસાર થયાં છે, મધ્યમ વર્ગ તરીકે કેવા પડકારો સામે આવે છે? એ ખૂદ ઝીલી ચૂક્યા છે અને આજે જ્યારે પોતાના અથાગ પરિશ્રમથી બે પાંદડે થયાં છે ત્યારે પણ સુખ-ચૈનની જિંદગી વિતાવવાના બદલે લોકોના પ્રતિનિધિ બનીને એ તમામ મુશ્કેલીઓ કે જેમનો સામનો એમણે કર્યો છે તેને મિટાવવાના એક ચોક્કસ સંકલ્પ સાથે ૭૯-જામનગર વિધાનસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે, ચૂંટણી જંગ ખેલી રહ્યાં છે.મનોજભાઈ કથીરિયા એક સીધાસાદા વ્યવસાયી છે, પાટીદારના દીકરા છે, ધરતીને પાટુ મારીને એમણે પોતાના હિસ્સાની રોજીરોટી મેળવી છે, નિષ્કલંક જીવન છે… એટલે બની શકે કે તેઓ પોતાના ચૂંટણી પ્રચાર કે સભાઓ દરમિયાન ખંધા રાજકારણીઓની જેમ વચનોની મધલાળ કદાચ દેખાડી ન શકે, પરંતુ જામનગરવાસીઓ એટલું સમજી લે કે, કોંગ્રેસ પાર્ટીને એક ‘હીરો’ મતલબ કે ‘ડાયમન્ડ’ મળ્યો છે, હવે તેને રાજકારણના રણમેદાનમાં ઘસીને ચમકાવવાની જવાબદારી ૭૯-જામનગરના મતદાતાઓની છે.

એમની કારકિર્દી આખી પ્રેરણાદાયી છે, એક લાગણીશીલ વ્યક્તિત્વ હોવાથી લોકો આવા નવા ચહેરાને તક આપે છે કે કેમ? એ સમય અને સંજોગો બતાવશે, પરંતુ એ વાત નિશ્ર્ચિત છે કે, મનોજ કથીરિયા એક માટીના માણસ છે, જેની સફળતા ભલે એવરેસ્ટ જેવી ઊંચી હોય પરંતુ તેમનો પગ આજે પણ ધરતી પર જ છે!

એમની કંપનીનો માલ લૂંટાયો છતાં ફરિયાદ નોંધાવી શક્યા નહીં!મનોજભાઈ કથીરિયા કે જે વાસ્તવમાં માટીના માણસ છે તે રાજકારણમાં શું કામ આવ્યા? તે અંગે એમણે કહ્યું હતું કે, કડી અને સાણંદ રોડ પર એમની માલિકીની ઓમ ‚દ્ર મેટાટેક પ્રા.લિ. કંપનીના આઈસરમાં ભરેલો માલ લૂંટાયો હતો, ૪૮ જેટલાં બૉકસ, તાલપત્રી ફાડીને અજાણ્યા ઈસમો લૂંટી ગયાં હતાં, રંગપુરડા ગામની હોટલ ઉપર વહેલી સવારે આ લૂંટ થઈ હતી, લાખો ‚પિયાના માલ-સામાનની લૂંટની બાબતમાં ફરિયાદી તરીકે મનોજભાઈ કથીરિયાને પોલીસ સ્ટેશનનો ખૂબ જ કડવો અનુભવ થયો હતો અને હદની વાત લઈને એક પોલીસ સ્ટેશને બીજા પોલીસ સ્ટેશન તરફ એમની ફેંકાફેકી કરી હતી, તેઓ ફરિયાદ નોંધાવી શક્યા નહોતાં. લાખોનો માલ સામાન લૂંટાયો-ચોરાયો હોવા છતાં ફરિયાદ નહીં કરી શકતાં એમને સિસ્ટમ સામે ખૂબ જ રોષ પેદા થયો હતો અને ત્યારે મનોમન નક્કી કર્યું હતું કે, આવી સિસ્ટમને સુધારવા માટે રાજકારણમાં જવું છે અને એટલાં માટે જ એમનો રાજકારણમાં પ્રવેશ થયો છે.