જામનગર તા.૩૦ સપ્ટેમ્બર, કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૩-૨૪માં ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, તે માટે લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. જેમાં, પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૂ.૬૩૭૭, મગ માટે રૂ. ૮૫૫૮, અડદ માટે રૂ.૬૯૫૦, અને સોયાબીન માટે રૂ.૪૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

આ તમામ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં જે ખેડૂતો ઉક્ત પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય, તો તેઓએ આગામી તા.૧૬ ઓક્ટોબર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી V.C.E./ વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તેમ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.





















