જામનગરમાં ફરી એકવાર લોકડાયરામાં નોટોનો વરસાદ થયો..ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહમાં રાત્રી લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજકીય નેતાઓ, ધારાસભ્ય અને આગેવાનો હાજર રહ્યા હતા. કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરના લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. આ લોકડાયરામાં અનેક રાજકીય પક્ષના નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા.
ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ પર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ નોટો વરસાવી હતી. ઉપરાંત જાણીતા બિલ્ડર મેરામણ પરમારે ચલણી નોટો વરસાવી હતી… ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, તથા અન્ય યજમાન પરિવારના નિકટવર્તી, સૌરાષ્ટ્રભરમાંથી આવેલા રાજપૂત અગ્રણીઓ, વગેરે દ્વારા ગુલાબી નોટના બંડલો પણ ઉડાડવાના શરૂ કરી દીધા હતા. એટલું જ માત્ર નહીં કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા, અને તેઓએ ડોલર પાઉન્ડ સહિતના અનેક ચલણી નોટોના બંડલોનો પણ વરસાદ કર્યો હતો.
જેને નિહાળીને કલાકારો તો ઠીક તમામ શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. ચલણી નોટોનો વરસાદ કરી દીધો હતો, કે સમગ્ર સ્ટેજ તથા આસપાસનું પરિસર ચલણી નોટોથી જ છવાઇ ગયું હતું. અને નીચેની લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ હતી. ભાજપના નેતા અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, કચ્છ,મોરબીના સાંસદ, પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળા તેમજ કૃષિપ્રધાન રાઘવજી પટેલ, પોલીસ અધિકારી અભય ચુડાસમા પણ હાજર રહ્યા હતા. એક મંચ પર રાજકીય નેતાઓ જોવા મળતા ભાગવત કથાએ લોકોમાં ચર્ચા જગાવી હતી.