પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ગેમ્સના મેડલવીરો સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓને આગામી પડકાર સામે જીતી દેશ માટે મેડલ લાવવા અને ભારતનું માન વધારવા માટે વિજયનો મંત્ર આપ્યો છે. નોંધનીય છે કે ભારતે આ વખતે ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલો જીત્યા હતા. દેશના એથલીટો સાથે પીએમ મોદીની મુલાકાત દરમિયાન ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને ખેલ રાજ્યમંત્રી નિસિથ પ્રામાણિક પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ આ મુલાકાતમાં બધા ખેલાડીઓ સાથે આત્મીયતાનો ભાવ જગાવતા કહ્યુ કે, તમે બધા મારા પરિવારની જેમ છો. પીએમ મોદીએ કેટલાક ખેલાડીઓના નામ લેતા પોતાની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો તો બધા ખેલાડીઓમાં જુસ્સો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તમને મળીને ગૌરવની અનુભૂતિ થઈ છે. પીએમ મોદીએ કહ્યું કે ખેલાડી દેશના યુવાઓ માટે રોલ મોડલ છે, જે દેશનું નામ વધારી રહ્યાં છે.

પ્રધાનમંત્રી આવાસ પર કોમનવેલ્થ ગેમ્સ 2022મા મેડલ જીતનાર મેડલવીરોને મળીને પીએમ મોદી પણ ઉત્સાહિત જોવા મળી રહ્યાં હતા. આ દરમિયાન પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યુ, ખેલાડીઓની મહેનતની હું પ્રશંસા કરુ છું. ખેલાડીઓને ભવિષ્ય માટે શુભેચ્છા. આજે વિજય ઉત્સવ છે. ખેલાડીઓએ દેશનું માન વધાર્યું. દરેક ખેલાડી પ્રશંસા પાત્ર છે.

પીએમ મોદીએ કહ્યુ કે બર્મિંઘમનો સમય ભારતથી અલગ હતો. તેમ છતાં લોકો મોડી રાત સુધી જાગીને મુકાબલા જોતા હતા. આ માટે એલાર્મ પણ લગાવતા હતા. તે દર્શાવે છે કે અમને તમારા પર કેટલું ગર્વ છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સ્વર્ણિમ યુગની શરૂઆત થઈ ચુકી છે. ખેલો ઈન્ડિયા અભિયાનનું તેમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પીએમ મોદીએ કહ્યુ, આ વર્ષે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. પછી તે કોમનવેલ્થ ગેમ્સ હોય કે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ. દરેક સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે. જે ખેલાડી આ વખતે કોમનવેલ્થમાં ન જઈ શક્યા તે આગામી ઈવેન્ટ માટે તૈયારી કરે અને જરૂર ત્યાં જાય.