આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોનાકાળના બે વર્ષ બાદ લોકોમાં ગણેશ ચતુર્થીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 2 વર્ષ બાદ કોઈપણ પ્રતિબંધ વગર ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ત્યાં જ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. મહત્ત્વનું છે કે, મુંબઇ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. જેમાં મુંબઈમાં 26/11 જેવો હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને એલર્ટ રાખવામાં આવી છે.
જોઇન્ટ સીપી વિશ્વાસ નાંગરે પાટિલે જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ સતર્ક છે. ગણપતિનું બંદોબસ્ત રહે છે, તેમાં ખાસ કરીને ભીડ પર નિયંત્રણ, ટ્રાફિક મોનિટરિંગ અને ખાસ કરીને કોઈ પ્રાકૃતિક આપત્તિનો કેવી રીતે સામનો કરવો વગેરે જેવી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ચુસ્ત બંદોબસ્ત રહેશે અને બધી તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. ગણપતિ આગમનથી લઈને વિદાય સુધી કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે. મુંબઈ પોલીસ પૂરેપૂરી તૈયાર છે. કોઈપણ અફવા પર ભરોસો ના કરશો. 80 ટકા પોલીસને બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત એસઆરપીએપની 18 કંપની, ક્યૂઆરટીની 700 ટીમ છે. મોટી સંખ્યામાં પોલીસદળ ગણપતિ ઉત્સવને લઈને તૈયાર છે. આતંકી ધમકી મામલે મુંબઈ પોલીસ હંમેશા પૂરેપૂરી રીતે સતર્ક છે અને તૈયાર છે. ખાસ કરીને કોસ્ટલ કમિટી, ક્યૂઆરટી ટીમ પૂરી રીતે તૈયાર છે અને ગભરાવવાની કોઈ જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, 2008ના મુંબઈ હુમલાની શરૂઆત 26 નવેમ્બર 2008ના રોજ થઈ હતી. જ્યારે આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ હુમલા શરૂ કર્યા હતા. જેમાં પાકિસ્તાની ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ ચાર દિવસ દરમિયાન મુંબઈમાં 12 સ્થળોએ ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. ગણપતિ પંડાલની સાથે સાથે મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની બહાર સમગ્ર ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રહેશે. ત્યાં પોલીસ ચાંપતી નજક રાખશે. કારણ કે ગણેશોત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે.