આજે અમદાવાદમાં રાજ્યભરના સરપંચો એકત્રિત થયા હતા અને કોરોનાકાળના લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગામડામાં કોરોના સામે ગ્રામજનોએ સ્વંયભૂ કરેલી કામગીરીના વખાણ કર્યાં હતાં. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે સમગ્ર દેશ દુનિયા કોરોનાથી ત્રસ્ત હતી ત્યારે પણ ભારતના ગામડાઓએ એવી કામગીરી કરી કે કોરોનાને ફીણ આવી ગયા . કોરોનાકાળ અને લોકડાઉન સમયે સમગ્ર દુનિયા જાણે સ્તબ્ધ ગઈ હતી અને એ સમયે પણ દેશના ખેડૂતોએ પીછે હટ્ટ ન કરી અને અન્નના ભંડાર ભર્યા તેથી પણ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણામાં સરપંચ પતિઓ વહીવટ ચલાવતા હોવાનો જૂનો પ્રસંગ યાદ કરતા કહ્યું હતું કે આપણે ગુજરાતમાં મહિલા સરપંચો જ બધો વહીવટ ચલાવે તેમ કહ્યું હતું.મહિલાઓ ખુદ વહીવટ ચલાવી અને મહિલાઓ આત્મનિર્ભર બને તે અર્થમાં મહિલાઓને કહ્યું હતું. આપણે ગુજરાતમાં એસપીને ( સરપંચ પતિઓ ) નથી કરવા દેવાનું એમ કહેતા જે મહિલાઓને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે તે જ ગામનું સંચાલન ચલાવે તેમ કહ્યું હતું…

ગુજરાત સરપંચ સંમેલનમાં 75નો મંત્ર આપ્યો
સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરપંચ સંમેલનમાં 75નો મંત્ર આપ્યો અને ગામમાં 75 વસ્તુઓનો સેટ હશે તો ભારતનો દરેક નાગરિક લાખોપતિ હશે તેવો વિશ્વાસ દાખવ્યો. વડાપ્રધાને દરેક ગામના 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કરે અને ધરતીમાતાને પીડાથી મુક્ત કરાવવાની આપણી જવાબદારી હોવાનું કહ્યુ. આ ઉપરાંત વડાપ્રધાને ગામનું પાણી ગામમાં રહે તે માટે દરેક ગામમાં 75 બોરીબંધ, 75 તલાવડીઓ , 75 વૃક્ષારોપણ અને 75 પ્રભારફેરીઓ કરવા અપીલ કરી. શાળાએ માત્ર ચાર દિવાલો નથી પરંતુ દરેક શાળાનો જન્મદિવસ ઉજવવા પણ સરપંચોને અપીલ કરી હતી.

એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ જે બાદ એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો. રોડ શો દરમ્યાન પીએમ મોદી સાથે ખુલી જીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જોવા મળ્યા. તડકો હોવા છતાં કાર્યકર અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શો દરમ્યાન ગુજરાતની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. કમલમમાં તેમણે સાંસદો, ધારાસભ્યો સાથે સંવાદ કર્યો અને ત્યાંથી તેઓ રાજભવન ગયા. બાદમાં તેમણે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં હાજરી આપી સંબોધન કર્યું હતું.