બેદરકાર તંત્ર : આવક જતી કરીને આવકનો દાખલો કઢાવવા લોકોની લાંબી કતારો

આવો તો કેવો દાખલો કે આવક જતી કરીને પણ આવકનો દાખલો કઢાવવો પડે !!!જામનગર કલેકટર કચેરી ખાતે સવારના ઉગતા પોરની સાથે જ લોકો કતાર લગાવે છે કારણ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે પરંતુ જી હા આ કતાર બીજા કેવાય માટે નહિ પરંતુ આવકના દાખલા માટે હોય છે.

જામનગરની પ્રજા માટે આવકનો દાખલો મામલતદાર કચેરીએથી કઢાવવો એટલે જાણે કોઈ એક નેતા માટે ચૂંટણી નજીક આવે અને ચૂંટણીની ટિકિટ મેળવવા જેટલું અઘરું કામ હોય છે તેવું જ અઘરું કામ લોકો માટે આવકનો દાખલો કઢાવવાનું છે..વહેલી સવારે ૭ વાગ્યાથી લાઈનમાં ઊભો એટલે કદાચ વારો આવી જાય અને વારો આવે તો પણ શું ? ઉતાવડમાં ભૂલથી પણ ભૂલ થઈ અને એક દસ્તાવેજી પુરાવો કે સહિમાં ગડબડ થઈ એટલે સમજો કે આખો દિવસ બરબાદ થયો એટલે સીધો વારો બીજા દિવસે આવે..આવામાં જામનગરમાં માત્ર બે જ ટેબલ પર આ કામગીરી કરવામાં આવે છે અને ૧૦: ૩૦ એ બારી ખૂલે એટલે લોકો દ્વારકાધીશ મંદિરની બહાર દર્શનની રાહ જોતા હોય એવી રીતે રાહ જોવે અને પછી ૧:૩૦ વાગ્યે કચેરી બંધ થાય અને પછી ૩: ૦૦ થી ૫: ૩૦ સુધી કામગીરી ચાલે આ સમયમાં જેની લોટરી લાગી એની લાગી…

લોકોની શું માંગ છે ??

લોકોની માંગ એક જ છે કે આવકના દાખલા માટે કેન્દ્રો વધારવામાં આવે એટલે કામગીરી ઝડપી કરી શકાય તેમજ આવકના દાખલાની મર્યાદા ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષ કરવામાં આવે અને દાખલો રીન્યુ કરતાં સમયે તેમાં ડોક્યુમેન્ટમાં થોડી રાહત આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અધિકારીઓ માટે ચોપડે સબ સલામત ??

આ અંગે મીડિયા દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારી સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું કે આ કોઈ સમસ્યા નથી રૂટિન પ્રક્રિયા છે…એટલે લોકો સવારથી સાંજ સુધીમાં માત્ર એક આવકનો દાખલો કઢાવે તો એ તેને એક રૂટિન પ્રક્રિયા ગણાવી રહ્યા છે અને કેમ ન ગણાવે કેમકે એસી ચેમ્બરમાં બેસીને વાસ્તવિક પરિસ્થિતિ અને લોકોની સમસ્યા ન સમજી શકાય તે સમજવા એસી ચેમ્બર છોડીને કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડે તેવું ધોમ ધખતા તાપમાં સેકાતા લોકો કહી રહ્યા છે …

સામાન્ય માણસને એક દિવસનું કામ છોડી અને આવકના દાખલા પાછળ દોડવું એ આવકના દાખલા માટે આવક છોડવા જેવું કામ છે..જો દાખલો ન મળે તો છોકરાનું એડમીશન ન થાય અને દાખલો લેવા દોડે તો એક દિવસનું રોજ જતું કરવું પડે..આમ અધિકારીઓ એસી ચેમ્બર છોડી અને લોકોની વાસ્તવિક પરિસ્થિત સમજે અને તેનું નિવારણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે…