પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર 9 માર્ચના રોજ ભારત દ્વારા ભૂલથી છોડાયેલી મિસાઇલ અંગે પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.પાકિસ્તાને ભૂલથી તેની સરહદમાં આવી પડેલી સુપરસોનિક મિસાઈલ અંગે ભારતના ખેદ વ્યક્ત કરવા અંગે નારાજગી વ્યક્ત કરતા આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભૂલથી મિસાઈલ છૂટી હોવા અંગે ખેદ વ્યક્ત કર્યા પછી પાકિસ્તાને આ ઘટનાની સંયુક્ત તપાસની માગણી કરી છે. આ સાથે પાકિસ્તાને કહ્યું હતું કે તેની જમીન પર પડેલી મિસાઈલ કઈ હતી અને તે સેલ્ફ ડિસ્ટ્રક્શન ટેકનીકથી સજ્જ હતી કે કેમ તેનો પણ ભારત જવાબ આપે.

પાકિસ્તાને ૯મી માર્ચે તેની સરહદમાં ભારતમાંથી એક સુપરસોનિક મિસાઈલ આવીને પડી હોવાનો દાવો કર્યો હતો અને ભારતના રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા. ભારતે શુક્રવારે આ અંગે ખેદ વ્યક્ત કરતા એટલું જ કહ્યું હતું કે, ટેકનિકલ ખામીના કારણે એક મિસાઈલ ભૂલથી છૂટીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી. જોકે, તેનાથી જાન-માલને કોઈ નુકસાન નથી થયું તે રાહતની બાબત છે. ભારતીય સેનાએ આ ઘટના મુદ્દે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો પણ આદેશ આપ્યો છે.જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે ભારતના સુરક્ષા પ્રોટોકોલ અને ટેકનિકલ સુરક્ષા ઉપાયો અંગે ઝેર ઓક્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રકારની ગંભીર ઘટનાને ભારતીય અધિકારીઓ માત્ર સરળ સ્પષ્ટીકરણ આપીને સંબોધિત કરી શકે નહીં. પાકિસ્તાને આ મિસાઈલ લોન્ચિંગ અંગે ભારતને અનેક સવાલ પૂછ્યા છે. પાકિસ્તાને કહ્યું કે બંને દેશ પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે એવામાં અમે વળતી કાર્યવાહી કરી હોત તો શું થાત?
પાકિસ્તાને ભારત પર ઝેર ઓકતા કહ્યું હતું કે 2005 માં બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા જેમાં બંને દેશોના સરહદી વિસ્તારોમાં કોઈપણ મિસસાઈલ મેનટેનેન્સ કરવામાં આવે ત્યારે તે અન્ય દેશની સરહદથી 400 કિમી દૂર કરવામાં આવે , જ્યારે આ ભૂલથી ચ્પ્દાયેલી મિસાઇલ પાકિસ્તાનમાં 124 કિમી અંદર જઈને પડી હતી. તેમજ જો ભારતથી ભૂલથી મિસાઇલ લોન્ચ થઈ ગઈ હોય તો શા માટે ભારતે પાકિસ્તાનને જાણ ન કરી ? પાકિસ્તાને સવાલો કર્યા બાદ શા માટે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો ?

પાકિસ્તાને કહ્યું કે ભારતે અકસ્માતે મિસાઈલ છૂટવા અને આ ઘટનાની વિશેષ પરિસ્થિતિઓ રોકવા માટે હાથ ધરાયેલા ઉપાયો અને પ્રક્રિયાઓ અંગે સવાલ કર્યા હતા. તેણે કહ્યું કે ભારતે પાકિસ્તાનની સરહદમાં પડેલી મિસાઈલના પ્રકાર અને તેની વિશેષતાઓ અંગે પણ સ્પષ્ટ અને વિગતવાર માહિતી આપવી જોઈએ. તેણે એવો પણ સવાલ કર્યો કે ભારત રૂટીન મેઈન્ટેનન્સ દરમિયાન પણ મિસાઈલો ફાયર થવાની સ્થિતિમાં હોય છે ? પાકિસ્તાને એમ પણ પૂછ્યું કે ભૂલથી છૂટેલી મિસાઈલે અંતિમ સમયમાં જ તેનો માર્ગ કેમ બદલ્યો? અને પાકિસ્તાનની સરહદમાં કેમ ઘૂસી? શું આ મિસાઈલ સેલ્ફ ડિસ્ટ્રક્ટ મિકેનિઝમથી સજ્જ હતી? એમ હોય તો તેનો આપમેળે નાશ કેમ ના થયો? પાકિસ્તાને કહ્યું કે આંતરિક કોર્ટ ઓફ ઈન્ક્વાયરીથી કશું નહીં થાય. આ ઘટનાની સંયુક્ત તપાસ થવી જોઈએ, કારણ કે મિસાઈલ પાકિસ્તાનની સરહદમાં આવીને પડી છે.