ગુજરાતના સુરેન્દ્ર નગર જિલ્લાના વણા ગામ પાસે ગુજરાત રોડવેઝની બસ પલટી ગઈ. બસ યુવક-યુવતીઓને પોલીસ ટ્રેનિંગ માટે લઈ જઈ રહી હતી. આ ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે. માહિતી મળતાં પહોંચેલા અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ ઘટનામાં ઘણા યુવક-યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસના જણાવ્યા મુજબ રોડવેઝની બસ પોલીસ ટ્રેનિંગ માટે યુવક-યુવતીઓને લઈને જૂનાગઢ જઈ રહી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે સવારે એસટી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી.
સ્થાનિક લોકોની મદદથી બચાવ
અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કર્યા બાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ બચાવ કાર્ય શરૂ કરી શકાયું હતું.

પોલીસે સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ડેપ્યુટી ચીફ કોન્સ્ટેબલ જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર કે.સી.સંપથ, આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ સુરેન્દ્રનગર હોસ્પિટલે પહોંચ્યા હતા.
એસટી બસ જૂનાગઢ જઈ રહી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસમાં મોટાભાગના મુસાફરો પોલીસ તાલીમ માટે જઈ રહેલા યુવક-યુવતીઓ હતા. બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી ત્યારે વણા નજીક અકસ્માત સર્જાયો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિદ્ધાથી બાબરા ગામ સુધીના હાઇવે માર્ગ પર થોડા દિવસો પહેલા રોડવેઝની એસટી બસને અકસ્માત નડ્યો હતો. તાજેતરમાં ગુજરાત રોડવેઝે પણ જૂની બસો હટાવવાનો નિર્ણય લીધો હતો. આ અકસ્માતમાં પણ એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ આ વખતે વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.





















