Site icon Meraweb

છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં આવવું આવવું કરે છે અને હાર્દિક કોંગ્રેસમાંથી જાવું જાવું એવી અટકળો ચાલે છે પરંતુ નિર્ણય ક્યારે ???

છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ અને હાર્દિક પટેલને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ-છ મહિનાથી નરેશ પટેલ રાજકારણમાં આવું આવું કરે છે તો બીજી તરફ હાર્દિક પટેલ કોંગ્રેસ થી રિસાઈ અને કોંગ્રેસમાંથી જાવું જાવું કરતા હોવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે મહત્વનું એ છે કે બંને પાટીદાર નેતાઓ છ મહિનાથી કોઈપણ ચોક્કસ નિર્ણય લઈ શક્યા નથી. નરેશ પટેલનું રાજકારણમાં જોડાવા અંગેનો સર્વે હોય કે પછી સમાજના આગેવાનો સાથેની બેઠક હોય કે પછી દરેક પાર્ટી સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે પરંતુ હજુ સુધી નિર્ણય લઇ શક્યા નથી.

હાર્દિક પટેલ પણ કોંગ્રેસથી નારાજ છે પરંતુ હજુ સુધી પાર્ટીમાં તેમની નારાજગી દૂર થઈ નથી અને તેમણે પક્ષ પલટા અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય પણ કર્યો નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓનો હાર્દિક પ્રત્યેનો પ્રેમ અને હાર્દિકનો ભાજપ પ્રત્યેનો ઝુકાવ એ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે હાર્દિક પટેલ ગમે ત્યારે કોંગ્રેસને રામ રામ કરી અને કેસરીયો ધારણ કરે તો એમાં કોઈ નવાઈ નહીં.

ખોડલધામ ખાતે મળેલી મિટિંગમાં હાર્દિક પટેલે એવું નિવેદન આપ્યું છે કે તેઓ નરેશ પટેલની સાથે છે નરેશ પટેલ જે કંઈ પણ નિર્ણય લેશે તેઓ તે નિર્ણયમાં તેમની સાથે રહેશે. આથી એક તરફ હાર્દિકની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને બીજી તરફ નરેશ પટેલ અને હાર્દિક પટેલ જામનગર ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં ભાજપના નેતાઓ સાથે બંને પાટીદાર નેતાઓ જોવા મળ્યા હતા. એટલે એક રાજકીય સમીકરણો અને અટકળો એવી પણ ચાલી રહી છે કે હાર્દિક પટેલ અને નરેશ પટેલ બંને કેસરીયો ધારણ કરી શકે છે.

નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ મુદ્દે વધુ એક મુદત પાડી

ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકોટમાં પાટીદાર નેતાઓની બેઠક મળી. ખોડલધામમાં મળેલી આ મહત્વની બેઠકમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા. ખાસ કરીને બેઠકમાં રાજકીય અને સામાજિક ચર્ચા-વિચારણ કરાઈ હતી. તેમજ નરેશ પટેલના રાજકારણમાં આવવા અંગે પણ ચર્ચા થઈ હતી. અલ્પેશ કથીરિયા તેમના પત્ની સાથે ખોડલધામ આવ્યા. અને માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું.

ખોડલધામમાં પાટીદાર સમાજની બેઠક મળી હતી. જેના પછી પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમા હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે. પત્રકાર પરિષદ દરમિયાન હાર્દિક પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. અને કહ્યું કે મે કોંગ્રેસને ઘણું બધું આપ્યું છે પણ કોંગ્રેસે મને કંઈ આપ્યું નથી. ઉપરાંત હાર્દિક પટેલે ખોડલખામના ચેરમેન નરેશ પટેલને રાજકારણમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે.