ગુજરાતમાં ચૂંટણી પહેલાં ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ મામલે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે કમિટી ગઠનના હક મુખ્યમંત્રીને અપાયા છે. દેશમાં એક કાયદો હોય તો તમામને સમાન લાભ મળે એમ જણાવી ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ સિવિલ કોડના ફાયદાઓ ગણાવ્યા હતા. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હોવાની માહિતી સીએમ ભુપેન્દ્ર પટેલે કરી છે. આ નિયમ લાગુ થયા બાદ લગ્ન, છૂટાછેડા માટે એક જ નિયમો લાગુ પડશે. કેબિનેટ બેઠક બાદ એક કમિટીની રચના કરવામાં આવશે. આ પહેલાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીથી પહેલાં યુનિફોર્મ સિવિલ કોડની ઘોષણા કરી હતી. આટલું જ નહીં, સરકાર બન્યા પછી એને લાગુ પણ કરવામાં આવી હતી.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
- તમામ ધર્મના લોકોમાં એક જ નિયમ
- છૂટાછેડાના લેવા માટે એક કાયદો
- દાન મુદ્દે પણ એક કાયદો
- બાળક દત્તક લેવા, કે બાળક કસ્ટડી માટે એક કાયદો
- લગ્ન, લગ્નની ઉમર માટે એક કાયદો
- પરિવારની સંપતિના ભાગ માટે પણ એક કાયદો
- કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો
- તમામ ધર્મોના લોકો માટે સમાન કાયદો
યૂનિફોર્મ સિવિલ કોડ મુદ્દે ભારે રાજકારણ.
અગાઉ સુપ્રીમ કોર્ટ પણ આ અંગે વિચારણા કરવાનું સૂચન આપી ચૂકી છે. થોડા વખત પહેલા પણ દિલ્હી હાઇકોર્ટે એક છૂટાછેટાના કેસની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે અલગ અલગ ધર્મો અને જાતિઓના પર્સનલ કાયદાઓના કારણે લોકોની સાથે સાથે કોર્ટોએ પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલા માટે બંધારણની કલમ ૪૪ હેઠળ સમાન નાગરિક કાયદા સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે. યૂનિફોર્મ સિવિલ કોડ દેશના રાજકારણમાં બહુ મોટો મુદ્દો છે.

એનઆરસી, ટ્રિપલ તલાક અને અનુચ્છેદ ૩૭૦ પર ઐતિહાસિક નિર્ણયો લીધા બાદ મોદી સરકાર હવે યૂનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય લઇ શકે છે એવું ઘણાં જાણકારોનું માનવું છે. હવે ગુજરાતમાં અમલ થઈ શકે છે. આમ તો દેશમાં મોટા ભાગના મુદ્દે કૉમન લૉ છે પરંતુ લગ્ન, છુટાછેડા અને વારસા જેવા કેટલાંક મુદ્દે હજુ પણ નિર્ણય પર્સનલ લૉના આધારે થતા હોય છે. ગોવા આવા રાજ્ય તરીકે શ્રેષ્ઠ દાખલો છે જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ છે. ગોવામાં કોઇ પણ ધર્મની પરવા કર્યા વિના અમુક અધિકારોને બાદ કરતા સમાન નાગરિક સંહિતા લાગુ છે.
યૂનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા એટલે એવો કાયદો જે ધર્મનિરપેક્ષ હોય અને તમામ ધર્મના લોકો પર એકસમાન રીતે લાગુ થાય. બીજા શબ્દોમાં જુદાં જુદાં ધર્મો માટે જુદાં જુદાં સિવિલ લૉ ન હોવા એ યૂનિફોર્મ સિવિલ કોડની મૂળ ભાવના છે. ટૂંકમાં ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઇએ, પછી ભલે તે ગમે તે ધર્મનો હોય. સમાન નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીના મામલાઓમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે.
જુદાં જુદાં ધર્મોના અલગ પર્સનલ લૉ
હાલ દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયના પર્સનલ લૉ છે. જ્યારે હિન્દુ સિવિલ લૉ અંતર્ગત હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો આવે છે. બંધારણના અનુચ્છેદ ૪૪માં સમાન નાગરિક સંહિતાની વાત આવે છે જે અનુસાર આ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રની છે પરંતુ આજ દિન સુધી આ કાયદો દેશમાં લાગુ થઇ શક્યો નથી. વખતોવખત આ કાયદો લાગુ કરવાની ચર્ચા જરૂર થાય છે પરંતુ રાજકીય વાદવિવાદ બાદ આ મુદ્દો કોરાણે મૂકી દેવામાં આવે છે.
ભાજપ અને આરએસએસ પહેલેથી કૉમન સિવિલ કોડની તરફેણ કરતા આવ્યાં છે.ખરેખર તો આઝાદી મળી ત્યારથી યૂનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. જોકે ટ્રિપલ તલાકની જેમ જ કૉમન સિવિલ કોડનો પણ વિરોધ થતો આવ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે આ તમામ ધર્મો પર હિન્દુ કાયદો લાગુ કરવા સમાન છે. બિનસાંપ્રદાયિક દેશ ગણાતા ભારતમાં જુદાં જુદાં ધર્મના લોકો માટે જુદાં જુદાં કાયદા હોવાની વાત જ પરેશાન કરનારી છે.
આઝાદીના સમયથી સળગતો મુદ્દો.
વર્ષ ૧૯૫૧માં ભારતમાં હિન્દુઓ માટે હિન્દુ કોડ બિલ લાવવામાં આવ્યું. જોકે એ વખતે પણ બાબાસાહેબ આંબેડકર અને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ હિન્દુ કોડ બિલ લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારે વિરોધ થયો. ત્યારબાદ સરકારે આ કાયદાને હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ સક્સેશન એક્ટ, હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ અને હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટમાં વહેંચી દેવામાં આવ્યો. આ કાયદામાં મહિલાઓને વધારે સશક્ત બનાવવામાં આવી. હિન્દુ સિવિલ કોડ અંતર્ગત મહિલાઓને પૈતૃક સંપત્તિ અને પતિની સંપત્તિમાં અધિકાર મળે છે. ઉપરાંત જુદી જુદી જાતિઓના લોકોને પરસ્પર લગ્ન કરવાના અધિકાર છે પરંતુ કોઇ પણ વ્યક્તિ એક લગ્ન અસ્તિત્ત્વમાં હોય ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકે.

દેશના મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ છે. આ કાયદા અંતર્ગત મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને માત્ર ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી શકે છે. જોકે મોદી સરકારે ટ્રિપલ તલાકને નાબૂદ કરતો કાયદો પસાર કરીને આ જોગવાઇ રદ્ કરી છે. મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર મહિલાને છૂટાછેડા બાદ પતિ પાસેથી કોઇ પણ પ્રકારના ગુજારાભથ્થું કે સંપત્તિ પર અધિકાર આપવામાં આવ્યો નથી માત્ર મહેર આપવાનો નિયમ છે. છૂટાછેડા બાદ મુસ્લિમ પુરુષ તુરંત લગ્ન કરી શકે છે પરંતુ મહિલાએ ઇદ્દત અનુસાર ચાર મહિના અને દસ દિવસની રાહ જોવી પડે છે. ક્રિશ્ચિયન પર્સનલ લૉમાં બે મુદ્દા મહત્ત્વના છે જે અનુસાર છૂટાછેડા ઇચ્છતા દંપતીએ બે વર્ષ સુધી અલગ રહેવું પડે છે. ઉપરાંત યુવતીનો માતાની સંપત્તિ પર કોઇ અધિકાર નથી હોતો.
સમાન નાગરિક સંહિતા તાતી જરૂરિયાત
દેશમાં કેટલાક મામલા એવા પણ નોંધાયા છે જેના કારણે યૂનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત વર્તાઇ હોય. શાહબાનો કેસ આવો જ એક મામલો હતો જેણે દેશના રાજકારણમાં ભારે હોબાળો સર્જ્યો હતો. ૧૯૭૮માં ઇન્દોરમાં રહેતી ૬૨ વર્ષની મુસ્લિમ મહિલા શાહબાનોને તેમના પતિએ છૂટાછેડા આપી દીધાં. પાંચ બાળકોની આ જૈફ વયની માતાએ ગુજારાભથ્થા માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને લાંબી કાનૂની લડાઇ લડી. ૧૯૮૫માં સુપ્રીમ કોર્ટે શાહબાનોના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આ ચુકાદાનો વિરોધ કર્યો તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલવા માટે તત્કાલિન રાજીવ ગાંધી સરકાર મુસ્લિમ મહિલા કાયદો, ૧૯૮૬ લાવી જેના કારણે કેસ જીતવા છતા શાહબાનોને તેમનો અધિકાર ન મળી શક્યો.યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ધર્મથી ઉપર જઇને જરૂરિયાત છે. જુદાં જુદાં ધર્મોના જુદાં જુદાં કાયદાઓના કારણે ન્યાયપાલિકા પર બોજ પડે છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ અદાલતોમાં પેન્ડિંગ કેસોના જલ્દી નિર્ણય આવશે. લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા કે સંપત્તિની વહેંચણીના મામલાઓમાં એક સમાન કાયદો હશે, પછી ભલે તે કોઇ પણ ધર્મના હોય. દેશના તમામ નાગરિકો માટે એક સમાન સિવિલ કોડ લાગુ થવાથી દેશમાં એકતા વધશે અને દેશ વિકાસના પથ પર આગળ વધશે. દેશમાં દરેક ભારતીય પર સમાન કાયદો લાગુ થવાથી દેશના રાજકારણ પર પણ અસર પડશે અને રાજકીય પક્ષો વોટબેંકની રાજનીતિ નહીં કરી શકે. ખાસ તો કૉમન સિવિલ કોડ લાગુ થયા બાદ મહિલાઓની પરિસ્થિતિમાં સુધાર આવશે.ઘણાંખરાં મુસ્લિમ દેશોમાં પણ સમાન નાગરિક સંહિતા અમલમાંદેશના એક માત્ર રાજ્ય ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. ગોવામાં લગ્ન રજિસ્ટર કરાવનાર મુસ્લિમ પુરુષ એક કરતા વધારે લગ્ન કરી શકતા નથી. એ જ રીતે ત્યાં ટ્રિપલ તલાક પણ કાયદેસર નથી. હકીકતમાં ૧૯૬૧માં ભારતમાં સામેલ થયા બાદ, ગોવા, દીવ અને દમણના પ્રશાસન માટે સંસદે ગોવા, દમણ અને દીવ એડમિનિસ્ટ્રેશન એક્ટ ૧૯૮૨ પસાર કર્યો અને આ કાયદામાં ભારતીય સંસદે પોર્ટુગલના સિવિલ કોડ ૧૮૬૭ને ગોવામાં લાગુ રાખવામાં આવ્યો. આ રીતે ગોવામાં સમાન નાગરિક સંહિતા લાગુ થઇ ગઇ. ગોવામાં લાગુ યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત ત્યાં વારસો, દહેજ અને લગ્ન અંગેના મામલાઓમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓ માટે એક જ કાયદો છે. એ સાથે જ આ કાયદામાં એવી જોગવાઇ છે કે કોઇ માતાપિતા પોતાના સંતાનોને પોતાની સંપત્તિથી સંપૂર્ણ રીતે વંચિત ન રાખી શકે.યુનિફોર્મ સિવિલ કોડ જેવા કાયદા દુનિયાના મોટા ભાગના વિકસિત દેશોમાં લાગુ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન અને ઇજિપ્ત જેવા દેશોમાં પણ આવા કાયદા અમલમાં છે.સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ભાજપનું ફોકસ હવે આ કાયદા પર આવી શકે છે. આમ પણ સરકારે સિંગલ સિવિલ કોડ લાગુ કરવા પ્રયાસ કર્યા છે પરંતુ વિપક્ષો તેને વોટ બેંક પોલિટિક્સ ગણાવીને કાયમ વિરોધ કરતા આવ્યા છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આ મુદ્દે અભિપ્રાય માટે લૉ કમિશન પણ બનાવવામાં આવ્યું હતું જેણે પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. પરંતુ વિપક્ષના ભારે વિરોધના કારણે સરકારે પીછેહઠ કરવી પડી. હવે બીજા કાર્યકાળમાં રાજ્યસભામાં બહુમતિ ન હોવા છતાં મોદી સરકારે ટ્રિપલ તલાક બિલ પસાર કરાવી લીધું એ જ તર્જ પર તે કોમન સિવિલ કોડ પણ લાગુ કરાવી શકે છે.