જામનગરમાં 1908 પછી આટલા વર્ષોમાં એક પણ નવું ક્રિકેટ મેદાન શહેર-જિલ્લાની નેતાગીરી વિકસાવી શકી નથી:
1982 પછી આ શહેરમાં એક પણ ફર્સ્ટ કલાસ મેચ રમાડવામાં આવી નથી:
જામનગર તા. 28
ક્રિકેટના કાશી તરીકે ઓળખાતું જામનગર શહેર રણજી ટ્રોફિથી માંડીને ઇન્ટર નેશનલ મેચ સુધીના વર્લ્ડ કલાસ ક્રિકેટરો આપી ચૂકયું છે, ક્રિકેટની દૂનિયાના સર રવિન્દ્ર જાડેજા પણ જામનગરના: જામનગરના પૂર્વ રાજવી ક્રિકેટર રણજીતસિંહના નામ પર દાયકાઓથી રણજી ટ્રોફિ રમાઇ છે પરંતુ ક્રિકેટ મેદાનની બાબતમાં શહેરને ઘોર અન્યાય

સમગ્ર દૂનિયામાં જામનગરમાં ક્રિકેટના કાશી તરીકે જાણીતુ છે. આ શહેરે સંખ્યાબંધ ક્રિકેટરો આપ્યા છે. આજની તારિખે પણ જામનગરની મહિલા ક્રિકેટરો રણજી ટ્રોફિમાં ધૂમ મચાવી રહી છે. નવાઇની વાત એ છે કે, દાયકાઓથી આ શહેરમાં ક્રિકેટનું એક પણ નવુ મેદાન રાજયની સ્થાનિક નેતાગીરી વિકસાવી શકી નથી. જેને કારણે જામનગરના ક્રિકેટ રસીકોને ફર્સ્ટ કલાસ સ્તરની ક્રિકેટ મેચ જોવા પણ મળતી નથી.

જામનગરના જામરણજીએ ક્રિકેટની દૂનિયામાં જામનગરનું નામ અમર કર્યા પછી આ શહેરે આંતર રાષ્ટ્રીય કક્ષાના તથા રણજી ટ્રોફિ કક્ષાના અનેક ક્રિકેટરો આપ્યા છે. પરંતુ 1908માં ખુદ જામરણજીતસિંહે જામનગર શહેરમાં હાલ ક્રિકેટ બંગલા તરીકે ઓળખાતા અજીતસિંહજી પેવેલીયન અને ક્રિકેટ મેદાનનું નિર્માણ કર્યા પછી પાછલા 115 વર્ષમાં આ શહેરને ક્રિકેટનું એક પણ નવું મેદાન મળ્યું નથી.

126 ચો. કિ.મી.માં પથરાયેલા આ વિશાળ શહેરના ક્રિકેટ રસીકો મેદાનના અભાવે અનેક પ્રકારની હાલાકીઓ વેઠી રહ્યા છે. પરંતુ વારે તહેવારે ક્રિકેટ બંગલામાં તસ્વીરો ખેંચાવતા કોઇપણ અગ્રણીઓ આટલા દાયકાના ઇતિહાસમાં શહેરને નવું ક્રિકેટ મેદાન અપાવવામાં સફળ થયા નથી. તે બાબત ક્રિકેટ શોખીનો માટે કમનશીબ પુરવાર થઇ રહી છે.

જામનગર શહેરમાં હાલ 300 થી વધુ જુનીયર અને સીનીયર ક્રિકેટ ખેલાડીઓ ક્રિકેટની કકો બારખડી શીખી રહ્યા છે. અને ક્રિકેટની પ્રેકટીસ કરી રહ્યા છે. પરંતુ કમનશીબી એ છે કે, આ ખેલાડીઓને ઘર આંગણે ફર્સ્ટ કલાસ મેચ દેખાડી શકાય તે પ્રકારનું ક્રિકેટ મેદાન જામનગરમાં નથી!! હાલમાં 115 વર્ષ જુની જે ક્રિકેટ મેદાન છે. તેમાં પણ સરકાર દ્વારા સિમેન્ટ કોંક્રિટના જંગલો ઉગાડી નાખવામાં આવ્યા છે અને ક્રિકેટના મેદાનને સાવ નાનુ બનાવી નાખવામાં આવ્યું છે જેના પરિણામે ક્રિકેટની એ, બી, સી, ડી, શીખતા અને પ્રેકટીસ કરતાં સેંકડો ખેલાડીઓને પરેશાનીઓ થઇ રહી છે.

ક્રિકેટના આ કાશીએ જામરણજી, અમરસિંહ, દિલીપસિંહ, વિનુ માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા ક્રિકેટની દૂનિયાને ભેટ ધર્યા છે. આ ઉપરાંત પાછલા દાયકાઓમાં રણજી ટ્રોફિમાં પણ જામનગરના ઘણાં બધા ખેલાડીઓ રમી ચૂકયા છે અને આજે પણ જામનગરનો વિશ્ર્વરાજ જાડેજા રણજી ટ્રોફીમાં પોતાની પ્રતિભા દેખાડી રહ્યો છે. આ ઉપરાંત મહીલા રણજી ટ્રોફિ ટીમમાં જામનગરના જયશ્રીબા જાડેજા, નેહા ચાવડા, રીધ્ધી રૂપારેલ, સમા સુઝાન તથા ધાર્મી થાપેલા રમી રહ્યા છે. જે સમગ્ર જીલ્લા માટે ગૌરવની વાત છે. જામનગરને ક્રિકેટનું નવું અને ભવ્ય મેદાન તથા રાજકોટના ખંઢેરી કક્ષાનું સ્ટેડીયમ કયારે મળશે ?





















