Site icon Meraweb

તાજમહેલ કેસમાં હાઈકોર્ટની ફટકાર: અરજદારને કહ્યું પીઆઈએલનો દુરુપયોગ ન કરો, પહેલા યુનિવર્સિટીમાં જઈ M.A, PhD કરો અને પછી કોર્ટમાં આવજો

આગ્રા સ્થિત તાજ મહેલના 22 રૂમ ખોલાવવાની અરજી મામલે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે, જનહિત અરજી (PIL) વ્યવસ્થાનો દુરૂપયોગ ન કરશો. તમે કાલે આવીને એમ કહેશો કે, અમને માનનીય જજની ચેમ્બરમાં જવા માટે મંજૂરી જોઈએ છે.

જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચે તાજ મહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરી હતી. હાઈકોર્ટે અરજીકર્તાને કહ્યું કે, તમે એવું માનો છો કે, તાજ મહેલને શાહજહાંએ નથી બનાવ્યો? શું આપણે અહીં કોઈ નિર્ણય સંભળાવવા આવ્યા છીએ? જેમ કે, આને કોણે બનાવડાવ્યો કે તાજ મહેલની ઉંમર શું છે?

હાઈકોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, તમને જે વિષય અંગે ખબર ન હોય તેના પર સંશોધન કરો, જાઓ M.A કરો, PhD કરો. જો કોઈ સંસ્થા તમને રિસર્ચ ન કરવા દે તો અમારા પાસે આવજો. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ અરજીની સુનાવણી ટાળશે નહીં. તમે તાજ મહેલના 22 રૂમની જાણકારી કોના પાસે માગી?

હાઈકોર્ટના સવાલના જવાબમાં અરજીકર્તાના વકીલે જણાવ્યું કે, અમે ઓથોરિટી પાસે જાણકારી માગી. તે મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, તેમણે કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર રૂમ બંધ છે તો આ જાણકારી છે. જો તમે સંતુષ્ટ ન હોવ તો તેને પડકાર આપો. મહેરબાની કરીને M.Aના અભ્યાસ માટે રજિસ્ટ્રેશન કરાવો, પછી નેટ, જેઆરએફ માટે જાઓ અને જો કોઈ વિશ્વવિદ્યાલય તમને આવા વિષય પર સંશોધન કરવા ઈનકાર કરે તો અમારા પાસે આવો.

અરજીકર્તાએ જણાવ્યું કે, મહેરબાની કરીને મને તે રૂમમાં જવાની મંજૂરી આપો. તેના જવાબમાં હાઈકોર્ટે આકરા સૂરે કહ્યું કે, કાલે આવીને તમે અમને માનનીય જજોની ચેમ્બરમાં જવા માટે કહેશો? મહેરબાની કરીને જનહિત અરજી પ્રણાલીની મજાક બનાવવાનું બંધ કરો. આ અરજી અનેક દિવસોથી મીડિયામાં ફરી રહી છે અને હવે તમે સમય માગી રહ્યા છો? ત્યાર બાદ કોર્ટે સુનાવણી માટે બપોરના 2:00 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો હતો.