જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 51 માં ધોરણ 3 માં અભ્યાસ કરતી માસૂમ છાત્રાને શિક્ષકે ઢોર મારતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર જાગી છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષકે ફૂટપટ્ટી વડે વાસા અને હાથ પર લાલ નિશાન થઈ ગયા હોવાની ફરિયાદ છાત્રાના વાલીએ શાળાના આચાર્યને કરી છે. વિદ્યાર્થીની શાળાની લોબીમાં બૂમાબૂમ કરતી હોય અને દોડાદોડી કરતી હોય તેવા સામાન્ય કારણોસર વિદ્યાર્થીને ઢોર માર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 51 અને 27 કાર્યરત છે
શાળા નંબર 51 માં બુધવારે શાળામાં અભ્યાસ કાર્ય રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. ત્યારે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી એક નાની માસુમ વિદ્યાર્થીની શાળાની લોબીમાં બૂમો પાડતી હતી અને દોડાદોડી કરતી હતી જેથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશ જાંબુસાએ વિદ્યાર્થીનીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ અભ્યાસ કાર્ય પૂર્ણ થતા બાળકીને લેવા તેના વાલી શાળાએ આવ્યા હતા. એ સમયે બાળકી એ આ સમગ્ર બનાવો અંગે તેણીના વાલીને જણાવ્યું હતું. વાલી દ્વારા પોતાની બાળકીને જોતા વાસા અને હાથ પર લાલચોળ નિશાન ઉઠી ગયા હતા. આથી વાલીએ આ બનાવ અંગે શાળાના આચાર્યને ફરિયાદ કરી અને બનાવની જાણ શાળા પૂર્ણ થયા બાદ આચાર્યને થઈ હતી.
આચાર્ય દ્વારા શિક્ષક ને ફોન કરીને પૂછતા શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું કે ધોરણ ત્રણ માં અભ્યાસ કરતી બાળકી શાળાની લોબીમાં બુમબુમ અને દોડાદોડી કરતી હોય તેથી માર માર્યાની કબુલાત કરી ભૂલ થઈ ગયાનું જણાવ્યું હતું.
બનાવ અંગે હકીકતલક્ષી અહેવાલ મંગાવવામાં આવ્યો છે : ફાલ્ગુની પટેલ શાસનાધિકારી
આ બનાવ અંગે શાસનાધિકારી ફાલ્ગુની પટેલે mera web સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે 51 નંબરની શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થીનીને શિક્ષક દ્વારા ઢોર માર્યાના બનાવની જાણ થઈ છે. આ બનાવ અંગે આચાર્ય પાસેથી સમગ્ર બનાવની તપાસ કરી અને હકીકત લક્ષી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ શિક્ષક સામે શું કાર્યવાહી કરવી તે અંગેનો નિર્ણય કરવામાં આવશે…