ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી શરૂ કરી દેવાઇ છે. જેથી 15 વર્ષ જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. એ માટે સરકારે PPPના ધોરણે 85 ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી દીધી છે. જેમાં 15 વર્ષ જૂના વાહનોની ચકાસણી કરાવવી પડશે. આ ચકાસણીમાં ફેલ થનારા વાહનોને સીધા ભંગારમાં મોકલવામાં આવશે. ફિટનેસ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા માટેની ફી ટૂંક સમયમાં નક્કી થશે. ઉલ્લેખનીય છે કે, માત્ર અમદાવાદ જિલ્લામાં જ 20 લાખ વાહનો 15 વર્ષ જૂના છે.

સ્ક્રેપિંગ પોલિસી (Scrap Policy)ના કારણે, 20 વર્ષથી જૂનાં વાહનોને રસ્તા પર ચાલવા દેવામાં આવશે નહીં. ભારતમાં હાલમાં 51 લાખ જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે ચિહ્નિત છે. તેનો હેતુ નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. 20 વર્ષ જૂના વાહનના માલિકોને સ્ક્રેપિંગ માટે પ્રમાણપત્ર મળશે. આ સર્ટિફિકેટ બાદ તેમને નવું વાહન ખરીદવા પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં મુક્તિ મળશે.

કેન્દ્ર સરકારની આ પોલિસી અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા 20 વર્ષ જૂના ખાનગી વાહનની મંજૂરી છે. પરંતુ શરત એ છે કે, વાહને ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. ફેલ થવા પર વાહન સ્ક્રેપમાં જશે. 1 જૂન, 2024 પછી, તેનું ‘ઓટોમેટિક ડી-રજિસ્ટ્રેશન’ અથવા રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 1 એપ્રિલ 2023થી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોની નોંધણી સમાપ્ત થશે. દેશમાં 15 વર્ષ જૂના વાહનોની સંખ્યા અંદાજિત 34 લાખ છે.

પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ અનુસાર, દેશભરમાં હાલ એક કરોડ જૂના વાહનો રસ્તા પર ચાલી રહ્યાં છે. આવાં વાહનોને એન્ડ ઓફ લાઇફ વ્હીકલ (ELV)પણ કહે છે. એક અંદાજ મુજબ, સ્ક્રેપ પોલિસી (Scrap Policy) પર અમલ ના થયો તો 2025 સુધી 2.18 કરોડ ઇએલવી થઇ જશે. એક સંશોધન મુજબ, ભારતમાં એક કરોડથી વધુ વાહન એવા છે, જે સામાન્ય વાહનની તુલનામાં 10થી 12 ગણું વધારે પ્રદૂષણ ફેલાવે છે. જો આવા વાહનોને રોડથી હટાવવામાં આવે તો પ્રદૂષણમાં 25થી 30 ટકાનો ઘટાડો થશે.
આપણને શું ફાયદો?
- જૂની કાર સ્ક્રેપ કરાવનારને નવી કાર પર કંપનીઓ 5 ટકા ડિસ્કાઉન્ટ
- સ્ક્રેપિંગ પોલીસીમાં નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ
- નવી ગાડી ખરીદ્યા બાદ 3 વર્ષ સુધી રોડ ટેક્સમાં 25%ની છૂટ
- નવી ગાડીના રજિસ્ટ્રેશન માટે કોઇ ફી નહી લેવાય
- વાહનને સ્કેપ કરાવવવા પર કિંમતના 4થી 6 ટકા ગાડીના માલિકને મળશે.
- પોલિસી બાદ સ્ટીલ,રબર, એલ્યુમિનિયમ,રબરની આયાત નહીં કરવી પડે
- સ્ક્રેપિંગ પોલિસી લાગુ થયા બાદ વાહનોના ભાવમાં 30થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે.