ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ ગરીબ પરિવારો (NFSA કાર્ડધારકો) માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તહેવારોને લઈને અન્ન નાગરિક પુરવઠા વિભાગે મહત્વની જાહેરાત કરી છે. એટલે કે આજ રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે 200 રૂપિયાની આસપાસ મળતું સીંગતેલ હવે 100 રૂપિયે આપવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ‘પ્રથમ વખત ડબલ ફિલ્ટર સીંગતેલ રાહતદરે સાતમ-આઠમ અને દિવાળી પર આપવાનો નિર્ણય કર્યો છે. 197 રૂપિયાની પ્રતિ લિટર પડતર કિંમત તેમની હોય છે. ત્યારે પ્રતિ લિટરે 97 રૂપિયાની સબસીડી આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એટલે કે 100 રૂપિયાના પ્રતિ લિટરના ભાવથી આ સીંગતેલ એ દિવાળીના પહેલાના દિવસોમાં અને સાતમ-આઠમના તહેવારોના દિવસમાં આપવામાં આવશે. જેમાં 70 લાખથી વધુ NSFL કાર્ડધારકોને લાભ મળશે અને 27 કરોડનો બોજો સરકારની તિજોરી પર આવશે.
‘ તમને વિશેષમાં જણાવી દઇએ કે, સરકાર સીંગતેલ 197 રૂપિયે ખરીદે છે. જેમાં 180 રૂપિયા સીંગતેલની ખરીદ કિંમત છે. જ્યારે 17 રૂપિયા આસપાસ અન્ય ખર્ચા મળીને કુલ 197 રૂપિયે પ્રતિ લિટર સીંગતેલની ખરીદી સરકાર કરે છે. ત્યારે સરકાર આગામી તહેવારોને ધ્યાને રાખી ગરીબ પરિવારોને 200 રૂપિયે મળતું એક લિટર સીંગતેલ 100 રૂપિયામાં જ અપાશે તેવો નિર્ણય લેવાયો.