રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ક્યાંક સ્થાનિકોને વિકાસના કાર્યોની ભેટ તો ક્યાંક ભાવિ પેઢી માટે રોજગાર સર્જનની નવી તકો ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા શેરડી પકવતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે શેરડીના ટેકાના ભાવમાં વધારો કરતા ખેડૂતોની ખુશી બમણી થઇ છે.પ્રતિ ક્વિન્ટલ 15 રૂપિયાનો વધારો કરીને 305 રૂપિયા કરવામાં આવ્યા છે. જે ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2022-23 માટે અમલી બનશે.ખાંડની મિલો પાસેથી ખેડૂતોને એક ક્વિન્ટલ શેરડી માટે ઓછામાં ઓછા 305 રૂપિયા મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશમાં શેરડીના પાંચ કરોડ ખેડૂતો, તેમના આશ્ચિતો, ખાંડની મિલો અને તેનાથી સંબધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ લાખ શ્રમિકોને ફાયદો થશે. જ્યારે ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો સહિત ખેત કર્મયોગીઓને પણ મોટો ફાયદો થશે. મહત્વનું છે કે ગુજરાતમાં એક કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના નેતૃત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ માર્કેટીંગ વર્ષ ઑક્ટોબર-સપ્ટેમ્બર 2022-23 માટે શેરડીનો ટેકાનો ભાવ 305 રૂપિયા કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. મહત્વનું છે કે માર્કેટિંગ વર્ષ 2022-23 માટે એક ક્વિન્ટલ શેરડીનો ઉત્પાદન ખર્ચ 162 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જેથી હવે 305 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને 142 રૂપિયાનો ફાયદો થશે. ખેડૂતોને પડતર કિંમત પર 88 ટકાનો નફો થશે.