દરેડ જીઆઇડીસીમાં દરરોજ ચારથી પાંચ કલાકના પાવરકટના કારણે કારખાનેદારોને મોટું નુકસાન , કારખાનેદારો દ્વારા ધરણા અને સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન

જામનગર શહેર અને જિલ્લામાં અવાર-નવાર વીજપૂરવઠો અનિયમિત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામ્યો હોય છે.પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.. દરેડ જીઆઈડીસી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા અપાતો વીજપૂરવઠો અવાર-નવાર ખોરવાઈ જતો હોવાથી કારખાનેદારોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ઉદ્યોગોમાં અપાતા અનિયમિત વીજપૂરવઠા મામલે ઉદ્યોગકારો દ્વારા અવાર-નવાર પીજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ કરવામાં ન આવતાં આજે પીજીવીસીએલના ત્રાસથી કંટાળેલા કારખાનેદારોએ ધરણાં અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. અંદાજીત ૧૫૦ જેટલા કારખાનેદારોને દૈનિક ચાર કલાક વીજકાપ ઝીંકવામાં આવતો હોવાની ફરિયાદ ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી છે….

ચોમાસાની ઋતુ પહેલા પ્રિમોન્સુન કામગીરીના નામે લાખો રૂપિયાનો બેફામ રીતે ખર્ચ કરવામાં આવે છે. આ પ્રિમોન્સુન કામગીરી બાદ ચોમાસામાં વરસાદની શરૂઆત થતાંની સાથે જ શહેરમાં અને ગ્રામ્યમાં અનેક સ્થળોએ વીજપૂરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓમાં જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-2 અને 3 માં છેલ્લાં ઘણાં સમયથી અનિયમિત વીજપૂરવઠાના કારણે 150 થી વધુ કારખાનાઓની પરિસ્થિતિ કફોળી બની ગઈ છે. આ કારખાનામાં કામ કરતા 3000 થી વધુ શ્રમિકોની રોજીરોટી પર સંકટ તોળાઈ રહ્યું છે. વીજપૂરવઠો ખોરવાઈ જવાના કારણે મજૂરોની આર્થિક સ્થિતિ પણ કફોડી બનતી હોય છે. આ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ પુરવઠો પૂરતો ન મળવાના કારણે ઉદ્યોગકારોને આર્થિક નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે..

જામનગર દરેડ જીઆઇડીસીના કારખાનેદારોને વીજ કાપના કારણે લોકો પરેશાન થયા છે.કારખાનેદારોની ફરિયાદ છે કે 150 કારખાનેદારોને સરદાર એસ્ટેટ દરેડ જીઆઇડીસી માંથી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો ડાયવર્ટ કરતા કારખાનેદારોને મોટા પાયે નુકશાની થઈ રહી છે .કોઈ અન્ય વિતારમાં વીજ પુરવઠો અહિયાથી આપવામાં છે પરંતુ કોઈ કારણોસર જ્યારે પાવરકટ કરવામાં આવે ત્યારે પાવરકટ માટે રાખવામા આવેલી સ્વીચનો ઉપયોગ કર્યા વગર સીધો બંને વિસ્રતામાં પાવરકટ કરી નાખવામાં આવે છે .આથી 400 જેટલા કારખાનેદારોએ કારખાના બંધ કરી એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ….

એક તરફ મોંઘવારીના કારણે બ્રાસ ઉદ્યોગકારોના ધંધામાં ખૂબ જ મોટો ફરક પડ્યો છે , મોંઘવારીના કારણે તેમને માલ ઊંચા ભાવે ખરીદી કરવી પડે છે અને તેમની પડતર ઊંચી જાય છે ત્યારે તેઓએ બજારમાં ટકી રહેવું અઘરું બન્યું છે તો બીજી તરફ અવાર-નવાર અનિયમિત વીજપૂરવઠાને કારણે કારખાનેદારો ઉપર શ્રમિકોનો પગાર અને માલની ઉત્પાદન કિંમત પણ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં બ્રાસ ઈન્ડસ્ટ્રીઝમાં મંદી છવાયેલી રહે છે અને અનિયમિત વીજપૂરવઠાથી ઉત્પાદન્ન ઓછું થવાને કારણે કારખાનેદારોની આવકમાં ઘટાડો થાય છે. ઉપરાંત લીધેલી લોનનો બોજ વધી જાય છે. બીજી તરફ પીજીવીસીએલને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ઉદ્યોગકારોની સમસ્યાઓનો હલ કરવામાં બેદરકારી દાખવવામાં આવે છે. પીજીવીસીએલના ત્રાસથી કંટાળીને આજે ધરણાં અને સૂત્રોચ્ચાર કરી નિયમિત વીજપૂરવઠો ફાળવવા માંગણી કરી હતી.