સૌથી જુની ગણાતી કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી નવાજૂની થઈ રહી છે. પાર્ટી જેટલી જુની છે તેટલો જ તેનો અનુભવ અને અનુમાન પણ ઘણીવાર સચોટ રહે છે. પરંતુ લાલચ, અપેક્ષા અને મહત્વકાંક્ષાને લઈને કેટલાક કર્મનિષ્ઠ કહેવાતા કાર્યકરો અને નેતાઓ પણ સમય આવે દલબદલું થઈ રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ નેતાઓની પાર્ટી બદલવાની મૌસમ પણ પુરબહારમાં ખિલી છે. સૌરાષ્ટ્ર ઝોનના 6થી વધુ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવાની તૈયારીઓ કરી રહ્યા હોવાની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યુ છે.

વિધાનસભા ચૂંટણી પહેલા સી.આર.પાટીલે ઓપરેશન કર્યું છે. જેમાં કોંગ્રેસના 6 MLAએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી છે. તો કોંગ્રેસના આ 6માંથી 3 ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે. લલિત વસોયા, ચિરાગ કાલરિયા, હર્ષદ રિબડિયા, મહેશ પટેલ, સંજય સોલંકી અને ભાવેશ કટારાએ પાટીલ સાથે બેઠક કરી છે. તમામ ધારાસભ્યો ગમે તે સમયે કેસરિયા કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપ હાઇકમાન્ડમાંથી લીલીઝંડી મળ્યા બાદ કેસરિયા કરશે. આ 6 ધારાસભ્યો પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીથી નારાજ હોવાનું જણાઇ રહ્યું છે.

આ 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે
- ચિરાગ કાલરીયા – જામજોધપુર
- હર્ષદ રીબડીયા – વિસાવદર
- સંજયભાઈ સોલંકી – જંબુસર
- મહેશ પટેલ – પાલનપુર
- ભાવેશ કટારા – જાલોદ
- લલિત વસોયા – ધોરાજી

હાલ આ 6 ભાજપમાં જોડાવાની શક્યતાઓ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ હતું કે. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ હું કોંગ્રેસમાં છું, આજની તારીખ સુધી કોંગ્રેસમાં છું. હાર્દિક પટેલ, જવાહર ચાવડા અને રાઘવજી પટેલનું ઉદાહરણ આપતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું હાલ કોઈ નિવેદન આપીશ તો આવનારા સમયમાં પડકાર ઉભો થઇ શકે છે. સોશિયલ મીડિયામાં જૂની ક્લિપ વાયરલ થાય છે. અત્યારે કંઇ કહું તો હાર્દિક પટેલ જેવું થાય…