સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ 3050 કામો માટે રૂપિયા 255.76 કરોડની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ મહાનગરપાલિકામાં 2417 જેટલા કામો માટેની રૂપિયા 207.94 કરોડ રૂપિયાની દરખાસ્તને મંજુરી આપી છે.
જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના 588 કામો માટે રૂપિયા 43 કરોડ 85 લાખની રકમ મંજૂર કરી છે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ બધી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂપિયા 214 કરોડના વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કર્યા હતા.
મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે કુલ 588 કામો માટે રૂપિયા 43.85 કરોડની રજૂ થયેલી દરખાસ્તને અનુમતિ આપી છે. જામનગર મહાનગરપાલિકા હવે, આ 588 કામો અંતર્ગત પેવર બ્લોક, સી.સી. રોડ, ભૂગર્ભ ગટરઅને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરશે.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, વિકાસની દિશામાં જામનગરએ વધુ એક હરણફાળ ભરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર વિકાસના સતત કામો કરી રહી છે અને જન જન સુધી વિકાસની ગાથા પહોંચી છે. જામનગરમાં 90 કરોડની રકમ થી સાકાર થયેલો ગુજરાતનો સર્વ પ્રથમ અત્યાધુનિક અને પી.પી.પી. બેઇઝ આધારિત વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ દૈનિક 450 મેટ્રિક ટનની કેપેસિટી ધરાવે છે. આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે અને પર્યાવરણ જાળવણી પણ થશે.