આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ ઉજવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે. જેના ભાગરુપે આજે તા. 12નાં રોજ રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજયમંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં ઉમંગ અને ઉત્સાહભેર યોજાશે. રાજકોટમાં 2 કિમી લાંબી તિરંગા યાત્રાનો પ્રારંભ બહુમાળી ભવન ખાતેથી કરવામાં આવશે. જે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરશે.
તિરંગા યાત્રાના આયોજનને લઇને રાજકોટમાં ત્રણ દિવસ અગાઉ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, જેસીપી ખુરશીદ અહેમદ અને મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઇ હતી. આ યાત્રામાં એક લાખથી વધુ લોકોને જોડવા અંગે જણાવાયું હતું અને સૌરાષ્ટ્ર કક્ષાનુ આયોજન છે. તંત્રએ આ માટે વિવિધ સંસ્થાઓ, એસોસિએશન અને મંડળો સાથે બેઠક કરી હતી વધુને વધુ લોકોને જોડવા અનુરોધ કર્યો હતો. આ યાત્રા સવારે 8 કલાકથી બહુમાળી ભવન પાસેથી નીકળશે જે યાજ્ઞિક રોડ, જાગનાથ મંદિર સહિતના રૂટ ઉપર ફરી રાષ્ટ્રીય શાળાએ પહોંચશે.
વાહનચાલકો, રસ્તે અવર-જવર કરતા લોકોને ઓછી મુશ્કેલી પડે તેવી રીતે લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે.તેમ તંત્ર દ્વારા અનુરોધ કરી વિવિધ શાળા-કોલેજોના છાત્રો પણ તિરંગા યાત્રામાં જોડાવા જણાવાયું છે. વધુમાં આ યાત્રાને પગલે પોલીસ હેડ કવાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોકથી યાજ્ઞીક રોડ હરીભાઇ હોલ, રાડીયા બંગલા ચોકથી માલવીયા ચોક સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવે છે.