ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં મોટા ભૂંકપ આવી રહ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રના કદાવર નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામ સાગઠીયા આજે વિધિવત રીતે આમ આદમી(AAP) પાર્ટીમાં જોડાયા છે. રાજકોટ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ ટ્વિસ્ટ આવે તો નવાઈ નહીં.

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવીને તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ પક્ષપલટાની મોસમ ચાલુ થઈ ગઈ છે. આ બધા વચ્ચે સૌરાષ્ટ્રના 2 દિગ્ગજ નેતાઓ ઈન્દ્રનીલ રાજગુરૂ અને વશરામ સાગઠીયા આપમાં જોડાયા છે, તેથી કોંગ્રેસને ભારે મોટો ફટકો પડશે.

ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનીલ રાજગુરૂને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. શક્તિસિંહ ગોહિલની નજીકના ગણાતા ઈન્દ્રનીલ રાજગુરૂએ 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકોટ વિધાનસભા બેઠક પર સીધો પડકાર ફેંક્યો હતો. અગાઉ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ વખતે જ ઈન્દ્રનીલ રાજગુરૂ અને વશરામ સોગઠીયા બંને આપમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા હતા.
ઈન્દ્રનીલે કહ્યુ કે ભાજપ ગુજરાતને નથી ગમતું, કોંગ્રેસ નથી દેખાડી રહ્યું દમ, બીજી તરફ આમઆદમી પાર્ટી સૌને ગમે છે. મને AAPમાં જોડાવાનો વિચાર સારો લાગ્યો અને ગમ્યો તેથી આ પક્ષ સાથે હું જોડાઉ છું. જોકે હાલમાં રાજકીય સ્થિતિ એવી છે કે શું સોદા થયા શું નક્કી કર્યું તેવું છે. પણ હું સોદાનો માણસ છું જ નહીં. મારી પ્રતિષ્ઠા કોંગ્રેસમાં નહોતી તેવું સાવ નહોતું. ખાસ અને મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ના જોઈએ તેવો દમ પંજામાં નથી એટલે AAPમાં જોડાયા, પક્ષ જે પણ નક્કી કરે શીરોમાન્ય રહેશે. પક્ષ જો ચૂંટણી લડવાનું કહેશો તો ચૂંટણી લડીશ. પક્ષને સંપૂર્ણ પણે ઉપયોગી થઈશ. કોંગ્રેસના આયોજનમાં દમ છે, નરેશ પટેલ મારા સારા મિત્ર છે. તેઓ જ્યાં હોય ત્યાં મારું કદ વધે તો ખરું પણ ઘટે તો નહીં જ.