આખરે બે વર્ષ બાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવવા જઈ રહ્યો છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે. આ ભાતીગળ મેળાનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્ર પટેલ કરશે. CM સહિત મંત્રીઓ પણ 17 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યે હાજર રહી લોકમેળો ખુલ્લો મૂકશે. હાલમાં લોકમેળામાં યાંત્રિક રાઇડસ ગોઠવવાની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સીએમના આગમનને લઈને પણ રાજકોટ તંત્ર દ્વારા ખાસ તૈયારીઑ કરવામાં આવી છે.
આ મેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે રાજકોટ તંત્ર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળો પ્લાસ્ટિક મુક્ત મેળો રહેશે. એટલે કે સ્ટોલધારકો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ નહીં કરી શકે, પ્રદૂષણની સાથે ગંદકી ન ફેલાય તે માટે લોકમેળામાં પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે.
એક બાજુ કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે કોરોના કેસો વધી રહ્યા છે અને આગામી સમયમાં લોકમેળો પણ યોજાઇ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં કોરોનાને મોકળુ મેદાન ન મળે તે માટે લોકમેળામાં ભીડને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માસ્ક અંગેનો નિર્ણય કરવામા આવ્યો છે અને લોકમેળામાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક વગર મેળામાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકોની સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતાં આ મેળાની લાખો લોકો મોજ માણતા હોવાથી લોકમેળા બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવવાની ભીતિ સર્જાતી હોવાથી માસ્ક ફરજિયાત કરાયું છે.
લોકમેળાની મોજ મોંઘી બનશે કે કેમ તે બાબતનું કોકડું મેળાની જાહેરાતથી લઈ અત્યાર સુધી ગુંચવાયેલું હતું. યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા નાની યાંત્રિક રાઇડ ના ₹20 નો દર બદલી ₹50 નો કરવા માંગ કરવામાં આવી રહી છે. જ્યારે કે મોટી યાંત્રિક રાઈડ ના રૂપિયા 30નો દર બદલી રૂપિયા 70ની કરવા માંગ કરવામાં આવી હતી. સંચાલકોનું કહેવું હતું કે વર્ષ 2015માં જે ભાવ લોકમેળા સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હતા. તે ભાવ હવે પોસાય તેમ નથી. દરેકે ચીજ વસ્તુઓના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે ત્યારે અમને પણ મોંઘવારી નો માર લાગી રહ્યો છે. જેના કારણે અમે ટિકિટ ના દરમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે. તંત્ર દ્વારા પહેલાં અપસેટ પ્રાઈઝ 2 લાખ રાખવામાં આવી હતી. જેમાં અત્યારે વધારો કરીને 3 લાખ કરવામાં આવ્યા છે. જેથી ટિકિટના દરમાં પણ વધારો થવો જોઈએ. પણ રાજકોટ તંત્રએ રાઈડ ટિકિટમાં ભાવ વધારાની માંગ ફગાવી દીધી હતી.