Site icon Meraweb

ગુજરાતમાં એક લઠ્ઠાકાંડ! 27 લોકોએ જીવ ગુમાવ્યા

રાજ્યમાં ફરીથી લઠ્ઠાકાંડને કારણે લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 24 થયો હતો જે વધીને 27 થયો છે. લઠ્ઠાકાંડ માં વધુ 3 લોકોનાં મોત નીપજ્યા છે. વેજળકા ગામે વધુ 2 લોકોનાં મોત તથા પોલારપુર ગામે 1નું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં કુલ 27 લોકોનાં મોત થયા છે.

જ્યારે 40થી વધુ લોકો સારવાર હેઠળ છે. હજી મૃતઆંક વધવાની આશંકા સેવાઇ રહ્યુ છે. આ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે અને DySpની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. જ્યારે ATS પણ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરશે. હાલ આ કેસમાં મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીની ક્રાઇમ બ્રાંચે પીપળજથી ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ 600 લિટર કેમિકલ આપ્યું હતુ. આ મુખ્ય આરોપી નભોઈ ગામનો છે. તેણે જ તેના સંબંધીને કેમિકલ આપ્યું હતુ.

Another Lattakkad in Gujarat! 27 people lost their lives




બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામના 5, ચદરવા ગામના 2 અને દેવગના ગામના 2 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે ધંધુકા તાલુકાના અણીયાલીના 2, આકરુંના 3, ઉચડી ગામના 2 સહિત 9 આમ મળીને 18 લોકોના મોતની સાથે અન્ય 6 લોકોના મોતની ખબર પણ મળી રહી છે. જેના કારણે આ લઠ્ઠાકાંડમાં કુલ 24 લોકોના મોત નીપજ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે , બોટાદની નભોઈ ચોકડી નજીક એક દેશી દારૂના અડ્ડા પરથી દારુ પીને નીકળેલા અનેક લોકોની તબીયત લથડી હતી. જે બાદ તેમને વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક પછી એક 18 દર્દીઓના મોત નીપજ્યાં હતા. આજે વહેલી સવારે ભાવનગરના બરવાળામાં વધુ લોકોના મોત નીપજ્યા છે. જેના કારણે કુલ 24 લોકોના મોત નીપજ્યા છે.  જ્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

લઠ્ઠાકાંડનો ભોગ બનનારાઓમાં મહિલાનો પણ સમાવેશ થયો છે. જેમાં એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અત્યારે ભાવનગરની હોસ્પિટલમાં 22, જ્યારે બોટાદની હોસ્પિટલમાં 4 લોકો સારવાર લઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જણાવ્યું હતું કે, પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતકો અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયેલી વ્યક્તિઓ બરવાળા તાલુકાના નભોઇમાં દેશી દારૂના અડ્ડાથી દારૂ પીને આવ્યા હતા. જેમાં તેમને દારૂમાં મેળવવામા આવેલા કોઇ ઝેરી કેમીકલની અસર થઇ હોવાની શક્યતા છે. હાલ ધંધુકામાં જે વ્યક્તિના મરણ થયા તેમના પોસ્ટમોર્ટમ કરાવીને રિપોર્ટને આધારે મૃત્યુંનું સાચું કારણ જાણી શકાશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ દારૂમાં વપરાયેલા કેમીકલ અંગે જાણી શકાશે.