અંબાણી પરિવારના વરઘોડિયા અનંત અંબાણી અને રાધિકા ગઈકાલે રાત્રે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચતાં ભવ્ય સ્વાગત કરાયું

જામનગરના એરપોર્ટ પર ફૂલો પાથરીને સ્વાગત બાદ મોટી ખાવડી સુધી માર્ગમાં અનેક સ્થળે આતસબાજી કરાઈ,

અનંત અંબાણી અને રાધિકા અંબાણીનો રિલાયન્સ ગ્રીન્સમાં પણ ભવ્ય સ્વાગત: દ્વારકા દર્શનાર્થે જાય તેવી સંભાવના

જામનગર તા ૧૭, દેશના ધનાઢય પરિવારના સુપુત્ર અને જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મૂખ્ય સંચાલક વ્યવસ્થાપક એવા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી તેમજ રાધિકા અંબાણી કે જે બંને નવ દંપતિએ તાજેતરમાં મુંબઈમાં લગ્ન સમારોહ સંપન્ન કરીને ગઈકાલે રાત્રે ચાર્ટર પ્લેન મારફતે જામનગરના એરપોર્ટ પર રાત્રિના ૧૧.૦૦ વાગ્યે આવી પહોંચ્યા હતા.

જે બંનેનું પુસ્પવૃષ્ટિ કરીને ભવ્ય સ્વાગત કરાયું હતું. સાથો સાથ ઢોલ નગારા શરણાઈના સૂર પણ રેલાવવામાં આવ્યા હતા. તેઓ માટેની વૈભવી કારને ફુલોથી શણગારવામાં આવી હતી, જે કારમાં બેસીને તેઓએ મોટી ખાવડી તરફ પ્રયાણ કર્યું હતું.

અંબાણી પરિવાર તથા રિલાયન્સ સંકુલના પરિવાર ની બાળાઓ દ્વારા ઈંઢોણી અને ક્ળશ સાથે સામૈયુ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ એરપોર્ટની બહાર ના ભાગમાં ભવ્ય આતશબાજી કરાઈ હતી. તેઓ મોટર માર્ગે જામનગર થી મોટીખાવડી પહોંચ્યા દરમિયાન રસ્તામાં પણ ઠેર ઠેર આતશબાજી કરવામાં આવી હતી.
તેઓ જ્યારે રિલાયન્સ કંપનીના રિલાયન્સ ગ્રીન્સ એરિયામાં પ્રવેશ કરતાં ત્યાં પણ રિલાયન્સ સાથે જોડાયેલા અન્ય પરિવાર જનોએ બંનેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અનંત અંબાણી અને રાધિકા અંબાણી કે જેઓએ રાત્રે રોકાણ રિલાયન્સ ગ્રીન્સમાંજ કર્યું હતું. દરમિયાન આજે તેઓ દ્વારકા ના જગત મંદિરે કાળીયા ઠાકોર ને શીશ નમાવવા માટે દર્શનાર્થે જાય તેવા અહેવાલો મળી રહ્યા છે.