રાજકોટ ગેમઝોન ની દુર્ઘટના બાદ જામનગરના પ્રદર્શન મેદાનમાં મેળા માટેનો સોઇલ રિપોર્ટ મેળવવાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો

મશીન મનોરંજન ની રાઈડ લગાવવા માટે નો ૨૦ ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે માટીના સેમ્પલો લેવાયા,રાજ્ય સરકારની મેળા યોજવા માટેની નવી ગાઈડલાઈન મુજબ પ્રદર્શન મેદાનમાં રાઈડ ધારકો દ્વારા કાર્યવાહી કરાઈ

જામનગર તા ૧૬, રાજકોટ ગેમ ઝોન ની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મેળાઓ યોજવા માટે જુદી જુદી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, અને તે ગાઇડલાઇન ને અનુરૂપ મેળા યોજવા માટેના રાજ્ય સરકારના આદેશ બાદ ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ લગાવવા માટેનો સોઈલ બેરિંગ કેપેસિટી (એસ.બી.સી.) રિપોર્ટ મેળવવો અત્યંત જરૂરી હોવાથી સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત જામનગરમાં આ પ્રકારે ની કાર્યવાહી કરવામાં આવી છે, અને પ્રદર્શન ગ્રાઉન્ડની મધ્યમાં ૨૦ ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે તેની માટીના સેમ્પલો લઈને તજજ્ઞ આર્કિટેકટ પાસે તેનું પરીક્ષણ કરાવી રિપોર્ટ મેળવ્યા બાદ જ મશીનમાં મનોરંજનની રાઈડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે, અને સરકારની નવી ગાઈડલાઈન ને અનુરૂપ કાર્યવાહી ચાલી રહી છે.

રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ મેળાઓ યોજવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે, અને અનેક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરવા માટે સિવિલ તેમજ મિકેનિકલ સ્ટ્રક્ચર અંગેના ચાર્ટર સિવિલ એન્જિનિયર ના સર્વે રિપોર્ટ મેળવ્યા બાદ રાઈડ ચાલુ કરવા માટેનો નિયમ રખાયેલો છે, જેમાં એક વધારાનો નિયમ ઉમેરવામાં આવ્યો છે, અને સોઈલ બેરિંગ કેપેસિટી નો સોઇલ રિપોર્ટ પણ મેળવવાની પ્રક્રિયાઓ આ વખતથી શરૂ કરવામાં આવી છે.

જેની અમલવારીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આયોજિત શ્રાવણી મેળા ના મેળા સંચાલકો દ્વારા રાઈડ લગાવવા માટેના જરૂરી એવા રિપોર્ટ મેળવવાની રાજ્યમાં સૌપ્રથમ વખત પ્રક્રિયા કરવામાં આવી છે. પ્રદર્શન મેદાનની મધ્યમાં જમીનમાં ૨૦ ફૂટનો બોર કરવામાં આવ્યો છે, અને તે બોર કરતી વખતે દર દોઢ મીટરે માટીના સેમ્પલ એકત્ર કરીને જુદા જુદા છ જેટલા સેમ્પલો લેવાયા છે, જે સેમ્પલો લીધા બાદ જામનગરના સિવિલ અને મિકેનિકલ ચાર્ટર એન્જિનિયર એવા તેજશ ઝાલા કે જેઓ દ્વારા આ પ્રકારની ખાસ લેબોરેટરી ચલાવવામાં આવે છે. તે લેબમાં સમગ્ર માટીના સેમ્પલો લઈને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

જેના રિપોર્ટ આવ્યા બાદ મશીન મશીન મનોરંજન ની રાઈડ લગાવવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, અને રાજ્ય સરકારના નવા નિયમોની ચુસ્ત પણે જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી મેળામાં તેમના સંચાલકો શબ્બીરભાઈ અખાણી, નિલેશભાઈ મંગે તથા અન્ય રાઇડ ધારકો દ્વારા અમલવારી થઈ રહી છે.