રાજ્યભરમાં ઢોરના ત્રાસને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે રાજ્ય સરકારને ટકોર કરતા તીખા સવાલો પૂછ્યા હતા. કોર્ટે સરકારને કહ્યું હતુ કે, જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ પણ કર્યો હતો. ત્યારે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાધાણીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે અને પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સારસંભાળ સરકાર રાખશે.
આ સાથે જ પ્રવકતા મંત્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યું હતું કે, ઢોરના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સરકાર ભોગવશે. રાજયની નગરપાલિકા- મહાનગરપાલિકા વિસ્તારોમાં ઢોર વાડા બનાવાશે. સાથે જ રૂ.10 કરોડની અલગથી જોગવાઈ જરૂર પડે તેમાં વધારો કરાશે. પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. રાજયની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં રખડતા ઢોરને શહેરી વિસ્તારમાં પકડવા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યુ કે, રાજયની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોર વાડા બનાવવામાં આવશે. તે માટે રૂ.10 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો કરવામાં પણ આવશે. પકડેલા ઢોર માટે પાણી, શેડ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચોમાસા દરમ્યાન પશુપાલકો પાસે પશુઓ રાખવા માટે પુરતી જગ્યા કે અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓને રોડ ઉપર છોડી દેવામાં આવે છે, જેના પરિણામે પશુઓની સંખ્યા રોડ ઉપર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે બાબત ધ્યાને લઇને જે પશુપાલકો પાસે આવી વ્યવસ્થા ન હોય તે પશુપાલકો સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓ મુકી શકે એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.