Site icon Meraweb

લ્યો બોલો ખંભાળિયામાં પોલીસ સ્ટેશનની નજીક જ એક વેપારીને બે શખ્સોએ લૂંટી લીધો !!!

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રહેતા એક નામચીન વેપારી ગઈકાલે પોતાની દુકાનેથી ઘરે જતા હતા તે સમયે રસ્તામાં બે શખ્સોએ તેમને આંતરી પછાડી અને તેમની પાસે રહેલ રોકડ રકમની થેલીને લૂંટીને ભાગી ગયા હોવાના બનાવતી ચર્ચા મચી જવા પામી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ લૂંટનો બનાવ પોલીસ સ્ટેશન નજીક જ બન્યો છે જેનાથી શહેરભરમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહેતા અને જોધપુર ગેટ પાસે દુકાન ધરાવતા જાણીતા વેપારી અશોકભાઈ થાવરદાસ ગોગાણી નામના વેપારી ગઈકાલે ગુરુવારે રાત્રે ના આશરે 9:30 વાગ્યાના સમયે દુકાનેથી તેમની એકટીવા મોટરસાયકલ પર બેસીને ઘરે જતા હતા. પોલીસ સ્ટેશન નજીક આવેલી એસ એન ડી ટી શાળાના પાછળના ભાગે કુંભાર પાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા એવા સમયે એકાએક 20 થી 22 વર્ષના બે શખ્સો તેમની પાસે આવ્યા અને પોતાનો ઈરાદો પાર પાડવાના હેતુથી આરોપીઓએ અશોકભાઈ ગોકાણીને ધક્કો મારીને મોટરસાયકલ પરથી પછાડી દીધા હતા. અશોકભાઈ કંઈ સમજે તે પહેલા તેમની પાસેથી રહેલી થેલી ઝૂંટવીને આ બે શખ્સો ત્યાંથી નસી ગયા હતા. આમ બે શખ્સોએ તેમને ઇજાઓ કરી રૂપિયા 73,660 ની રોકડ રકમ તેમજ દુકાનના રોજમેળ સહિતનો મુદ્દામાલ લૂંટી ગયા હોવાની ધોરણસર ફરિયાદ અશોકભાઈ થાવરદાસ ગોકાણી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

બનાવની જાણ પોલીસને થતા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ ડીજે સરવૈયા તેમજ એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાસી છૂટેલા બે લુંટારાઓને પકડી પાડવા પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજનસ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસ સ્ટેશનની નજીક લૂંટના બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.